ભગવાન જગન્નાથની ઐતિહાસિક 144મી રથયાત્રા સોમવારે પરંપરાગત રીતે કર્ફ્યૂ વચ્ચે નીકળશે. રથયાત્રા પહેલાં આજે અમાસના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી મોસાળ સરસપુરથી નિજ મંદિર પરત ફર્યાં છે. નિજ મંદિરે પરત ફર્યા બાદ નેત્રોત્સવ વિધિ અને ધ્વજારોહણ વિધિની શરૂઆત કરવામાં આવી હતી. ભક્તોની ભારે ભીડ વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ વિધિમાં ભાગ લીધો હતો. વિધિ પૂર્ણ થયા બાદ ભગવાનના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જામી હતી.જય રણછોડ માખણ ચોર,મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે,હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી ના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું. જગન્નાથ મંદિરમાં જય રણછોડ માખણચોરના નાદ સાથે નેત્રોત્સવ અને ધ્વજારોહણ વિધિ સંપન્ન કરવામાં આવી હતી. મોસાળથી પરત ફરેલા ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીની નિજ મંદિરમાં 14 દિવસ બાદ પ્રથમ વખત આરતી કરવામાં આવી હતી. ત્યાર બાદ ત્રણેય ભાઈ બહેનની આંખે પાટા બાંધવામાં આવ્યાં હતાં. આ પાટાને આવતી કાલે સવારે ખોલવામાં આવશેઆજે ભગવાન જગન્નાથ નિજમંદિર પરત ફરતાં ઉત્સવ અને આનંદનો ઉત્સાહ મંદિરે જોવા મળી રહ્યો છે. આજે મંદિરમાં સાધુ-સંતોનો ભંડારો યોજાવાનો છે. 1000 જેટલા લોકોનો ભંડારો આજે યોજવામાં આવ્યો છે. વહેલી સવારથી ભંડારાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભંડારામાં કાળી રોટી(માલપૂઆ) અને ધોળી દાળ (દૂધપાક)નો પ્રસાદ આપવામાં આવે છે. સવારથી મંદિરના રસોડામાં 500 લિટર દૂધનો દૂધપાક બનાવવામા આવ્યો છે. ચણાનું શાક, પૂરી અને માલપૂઆ બનાવવામાં આવી રહ્યાં છે. આજે 1000થી વધુ સાધુ-સંતો ભગવાનના ભંડારામાં પ્રસાદનો લાભ લેશે. ઉપરાંત કેટલાક મર્યાદિત લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છેભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહ, મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના ભાજપના પદાધિકારીઓ ભગવાન જગન્નાથની નેત્રોરોત્સવવિધિ અને ધ્વજારોહણની પૂજાવિધિ કરી રહ્યા છે. આ વિધિમાં યજમાનો ઉપરાંત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પરિવાર સાથે આ પૂજામાં ભાગ લીધો છે. ભગવાન આજે નિજમંદિર પરત ફરતાં વહેલી સવારથી મંદિરમાં ભકતો ભગવાનનાં દર્શન માટે ઊમટી પડ્યા છે.