લંડન: પંજાબ નેશનલ બૅન્ક (પીએનબી)ના અંદાજે બે અબજ ડૉલરના કૌભાંડના કેસમાં છેતરપિંડી અને મની લૉન્ડરિંગના આરોપસર ભારતમાં મોસ્ટ-વૉન્ટેડ ગુનેગાર ગણાતો હીરાનો વેપારી નીરવ મોદી અહીં ગુરુવારે દેશનિકાલ સામેની કાનૂની લડત હારી ગયો હતો. બ્રિટિશ અદાલતના ન્યાયાધીશે ઠરાવ્યું હતું કે નીરવ મોદી વિરુદ્ધ અદાલતમાં મામલો છે અને તેણે આ સંબંધમાં ભારત જઈને અદાલતોને જવાબ આપવા પડશે. યુકેના જજનો આ ચુકાદો ભારતીય સત્તાધીશો માટે મોટી જીત છે. જજે એવું પણ ઠરાવ્યું હતું કે ભારતમાં નીરવ મોદી સામે ન્યાયી અદાલતી કાર્યવાહી નહીં થાય એ સાબિત કરતા કોઈ પુરાવા નથી મળ્યા.૪૯ વર્ષીય નીરવે દક્ષિણ-પશ્ર્ચિમ લંડનની વૉન્ડ્સવર્થ જેલમાંથી વિડિયો-લિન્ક દ્વારા અહીં લંડનની અદાલતી કાર્યવાહીમાં ભાગ લીધો હતો. વેસ્ટમિન્સ્ટર મૅજિસ્ટ્રેટ્સ કોર્ટમાં ડિસ્ટ્રિક્ટ જજ સૅમ્યુઅલ ગૂઝી ચુકાદો સંભળાવી રહ્યા હતા ત્યારે નીરવ મોદીના ચહેરા પર ખાસ કોઈ ભાવ નહોતો જોવા મળ્યો.ગૂઝીએ પછીથી કહ્યું હતું કે તેઓ બ્રિટનનાં ગૃહ પ્રધાન પ્રીતિ પટેલને ચુકાદાની કૉપી મોકલી આપશે. ગૂઝીએ કહ્યું હતું કે ‘નીરવ વિરુદ્ધ છેતરપિંડી અને મની લૉન્ડરિંગના પ્રથમદર્શી કેસમાં જે પુરાવા આવ્યા છે એનાથી હું સંતુષ્ટ છું.’ ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચેની સંધિ મુજબ કૅબિનેટ સ્તરના પ્રધાન જ કોઈ આરોપીના દેશનિકાલનો આદેશ બહાર પાડી શકે અને તેમણે બે મહિનાની અંદર આ સંબંધમાં નિર્ણય લઈ લેવો પડશે. ગૃહ પ્રધાનનો આદેશ ભાગ્યે જ અદાલતના ફેંસલાથી વિપરીત હોય છે. પ્રીતિ પટેલે દેશનિકાલને લગતા નજીવા પ્રતિબંધોને જ ધ્યાનમાં લેવા પડશે અને એ નિયંત્રણો આ કેસમાં લાગુ પડવાની શક્યતા નથી.પ્રધાન સ્તરેથી કોઈ પણ નિર્ણય આપવામાં આવે, એ નિર્ણય પછી નીરવ મોદીએ ૧૪ દિવસની અંદર હાઈ કોર્ટનો સંપર્ક કરવો પડશે અને લીવ-અપીલ નોંધાવવી પડશે.નીરવ મોદીની ૨૦૧૯ની ૧૯મી માર્ચે ધરપકડ કરવામાં આવી હતી અને તેના દેશનિકાલની માગણી કરવામાં આવી હતી. તેણે વારંવાર જામીન માટેની અપીલ કરી હતી જે નકારવામાં આવી હતી. તેની વિરુદ્ધ ભારતમાં સીબીઆઇનો અને ઇડીનો કેસ ચાલે છે.