ગાંધીનગર : હજુ દસ દિવસ પહેલાં જ ગુજરાતના આઇએએસ અધિકારીઓની બદલીમાં કચ્છના કલેક્ટર ડી કે પ્રવીણાને બદલીને પંચમહાલ કલેક્ટર તરીકે મૂકવામાં આવ્યા અને તેમના સ્થાને સુજલ માયાત્રાની નિમણૂંક થઇ, પણ મંગળવારે જ આ ઓર્ડરમાં ફેરબદલી કરીને પ્રવીણાને કચ્છ કલેક્ટર તરીકે પર મૂકાયાં છે. આ બદલી પાછળ ગુજરાત સરકાર તેમજ ભાજપ સંગઠનના ઉચ્ચ નેતાઓ અને વગદાર બાબુના આંતરિક સમીકરણોને કારણે પ્રવીણાને કચ્છમાં મુકાયા છે.સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત સરકારના એક મોટા નેતાના ખાસ વ્યક્તિ હાલ કચ્છમાં પોર્ટ, ખનીજ અને અન્ય ઘણાં ધંધા સાથે સંકળાયેલા છે અને તેઓ પ્રવીણા ડીકે સાથે મળીને ધંધાનો વિકાસ કરતા હતા. તેમાંય કોરોનાકાળ દરમિયાન પ્રવીણાએ નેતાના આ ખાસ વ્યક્તિનો પડ્યો બોલ ઝીલીને કામગીરી કરી હતી. પરંતુ થોડા સમયથી તેમની વચ્ચેના સમીકરણો થોડાં જુદાં બન્યા હતા અને તેને કારણે જ પ્રવીણાની પંચમહાલ જેવા પછાત વિસ્તારમાં બદલી થઇ ગઇ હતી. તેની સામે રાજ્ય સરકારના એક ખૂબ મોટા અધિકારી પ્રવીણાને સંરક્ષણ પૂરું પાડે છે અને તેમની બદલી પણ તેમને ખાસ માફક ન આવી. તેમાંય નવા મૂકાયેલાં માયાત્રા હરિફ જૂથના નેતાના ખાસ હોવાનો અહેસાસ થતાં જ આ બદલી હુકમ ફેરવી દેવાયો છે.અગાઉ રેમ્યા મોહન કચ્છ કલેક્ટર હતાં તેમને સ્થાને એમ નાગરાજન કચ્છ કલેક્ટર બન્યાં હતાં. પરંતુ તેમના વિશે ઉચ્ચકક્ષાએ સ્થાનિક લોકોએ ફરિયાદો કરતાં માત્ર સાડા ત્રણ મહિનાના ગાળામાં જ નાગરાજનને બદલે પ્રવીણાને કચ્છ કલેક્ટર તરીકે મુકાયાં હતાં. હવે પ્રવીણાની બદલી પાછી ખાંચાઈ છે.સૂત્રોનું માનીએ તો કચ્છ ભાજપની બે જૂથ લોબી દ્વારા કલેક્ટર-કલેક્ટરની બદલીની રમત રમાઇ હોવાનું કહેવાય છે. જો કે, અચા અંગે કચ્છના સાંસદ વિનોદ ચાવડાનો સંપર્ક સાધતા તેમણે આ વાતને ખોટી ઠેરવી જણાવ્યું હતું કે, આઇ.પી.એસ., આઇ.એ.એસ. અધિકારીની બદલીના આદેશ દિલ્હીથી કેન્દ્ર સરકાર દ્વારા થતા હોય છે. પ્રવીણા ડી.કે. કલેક્ટર તરીકે હતા ત્યારે અમે બધા ખભેખભા મિલાવીને સાથે કામ કર્યું છે અને સંકલનની બેઠકમાં તમામ ધારાસભ્યો હાજર હતા ત્યારે બદલીનો આદેશ આવ્યો હતો અને ફરીથી તેમને કચ્છ કયા કારણોસર મુક્યા તે દિલ્હી અને સરકારનો વિષય છે.