નવી દિલ્હી: પ્રજાસત્તાક દિને દિલ્હીમાં થયેલી હિંસા દરમિયાન લાલ કિલ્લાના એક ગુંબજ પર ચઢી જનાર ૨૯ વર્ષની જશપ્રિતસિંહ નામની વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે સોમવારે કહ્યું હતું.પ્રજાસત્તાક દિને ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે ઉપસ્થિત મેદનીને ઉશ્કેરવાના આશયથી હવામાં તલવાર વીંઝનાર મનિન્દરસિંહની ગયા મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી. જશપ્રિત, મનિન્દરસિંહનો જ એક સાથીદાર હોવાનું માનવામાં આવે છે. વાયવ્ય દિલ્હીના સ્વરૂપ નગરમાં રહેતા જશપ્રિતની ક્રાઈમ બ્રાન્ચે શનિવારે ધરપકડ કરી હતી.નવા ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદા રદ કરવાની માગણી સાથે ૨૬મી જાન્યુઆરીએ દિલ્હીમાં કાઢવામાં આવેલી ટ્રેક્ટર રેલી દરમિયાન હજારો પ્રદર્શનાર્થીઓની પોલીસ સાથે અથડામણ થઈ હતી.અનેક પ્રદર્શનકર્તાઓ ટ્રેક્ટર હંકારીને લાલ કિલ્લા સુધી પહોંચી ગયા હતા અને તેમાં પ્રવેશ પણ કર્યો હતો.