પુણે: ગયા મહિના દરમિયાન પુણે ખાતેની સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ)માં લાગેલી આગનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ હતું, એમ રાજ્યનાનાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે શુક્રવારે જણાવ્યું હતું.૨૧મી જાન્યુઆરીના પુણે સ્થિત માંજરી પરિસરની એસએસઆઈની પાંચ માળની ઇમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગમાં પાંચ મજૂરનાં મોત થયાં હતાં. આમ છતાં અહીંની આગમાં કોરોનાની રસી (કોવિડશિલ્ડ)ના ઉત્પાદનને કોઈ અસર થઈ નહોતી. રાજ્યના બજેટ પૂર્વે પુણે ડિવિઝન અંતર્ગતના જિલ્લાની વાર્ષિક જનરલ મીટિંગ પછી મીડિયાને સંબોધતા તેમણે કહ્યું હતું કે ગયા મહિના દરમિયાન સીઆઈઆઈમાં લાગેલી આગના સ્થળને મેં અને જિલ્લાના કલેક્ટર સહિત વિવિધ અધિકારીએ મુલાકાત લીધી હતી. ‘આગ લાગી એ જગ્યા એકદમ ખાલી હતી તથા કામકાજ પણ ચાલુ હતું. આ ખાનગી ઈન્સ્ટિટ્યૂટ છે તથા તેમણે તેનું ઓડિટ પણ કર્યું હતું. આ મુદ્દે સરકારે તપાસ કરી રહી છે. જોકે, આગ લાગવા માટે બીજું કોઈ કારણ જણાયું નથી તથા તેમાં સ્પષ્ટ છે કે તેમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી,’ એમ તેમણે જણાવ્યું હતું. કોવિડ-૧૯ વિરુદ્ધ રસી આપવાની ઝુંબેશ મુદ્દે પવારે કહ્યું હતું કે ‘કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધને શરૂઆતમાં નિવેદન આપ્યું હતું કે કેન્દ્ર સરકાર તમામને રસી આપશે, ત્યારબાદ સુરક્ષા દળના જવાન સહિત પેરામેડિકલ સ્ટાફ સહિત ત્રણ કરોડ જેટલા લોકોને રસી આપશે. તાજેતરમાં તેમણે નિવેદન આપ્યું હતું કે ૩૦ કરોડ લોકોને રસી અપાશે.