ટીવીનો જાણીતો એક્ટર કરન મેહરાની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. તેની પર પત્ની નિશા રાવલે ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો છે. નિશાએ પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે કરન મેહરાએ સોમવાર, 31 મેના રોજ પહેલા તેની સાથે ઝઘડો કર્યો હતો અને પછી મારપીટ કરી હતી ત્યાર બાદ નિશા રાવલે ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો હતો. નિશાએ પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે કરને તેને એ હદે માર માર્યો કે તેને માથામાં ટાંકા લેવા પડ્યાં હતાં. ફરિયાદ બાદ પોલીસે કરન મેહરાની ધરપકડ કરી હતી. કરન મેહરા પર કલમ 336, 337, 332, 504, 506 હેઠળ કેસ કરવામાં આવ્યો છે. કરન મેહરાની ધરપકડ બાદ તેને જામીન પર છોડી મૂકવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ કરન તથા નિશાના લગ્નજીવનમાં તિરાડ પડી હોવાની ચર્ચા થતી હતી. જોકે એ સમયે કરને આ તમામ સમાચારોને ખોટા ગણાવ્યા હતા. તેણે કહ્યું હતું કે કોરોના દરમિયાન તેની પત્ની નિશાએ તેનું પૂરું ધ્યાન રાખ્યું હતું વધુમાં તે પંજાબી પ્રોજેક્ટના શૂટિંગમાં વ્યસ્ત હતો. છેલ્લા 15 દિવસ તેમના માટે તણાવભર્યા રહ્યા હતા. તે શૂટિંગ કરતો હતો અને આ દરમિયાન તેને શરીરમાં દુખાવો થયો હતો અને થાક લાગ્યો હતો. તેને લાગ્યું કે તેને કોરોના છે. કરને આગળ કહ્યું હતું કે પછી તે મુંબઈ પરત ફર્યો અને ટેસ્ટ કરાવ્યો હતો. જોકે પહેલા રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને પછી પોઝિટિવ આવ્યો હતો. આ દરમિયાન તેની પત્નીએ ઘણી જ કાળજી લીધી હતી.