છ મનપાની કુલ 576 બેઠકો પરથી ભાજપનો 483 બેઠકો પર વિજય થય, કોંગ્રેસને 55 બેઠકો મળી, જ્યારે અન્યને 38 બેઠકો મળી
અમદાવાદ : છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો કેસરિયો લહેરાયો છે. કોંગ્રેસના સૂપડાં સાફ થઈ ગયા છે. છ મનપાની કુલ 576 બેઠકો પરથી ભાજપનો 483 બેઠકો પર વિજય થયો છે. કોંગ્રેસને 55 બેઠકો મળી છે. જ્યારે અન્યને 38 બેઠકો મળી છે. જેમાં આમ આદમી પાર્ટીની 27 બેઠકનો સમાવેશ થાય છે.કોંગ્રેસે 2015ની ચૂંટણીમાં 174 બેઠક પર જીત મેળવી હતી. અમદાવાદમાં ઓવૈસીની પાર્ટી AIMIM અને સુરતમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ પોતાની એન્ટ્રી નોંધાવી છે.અમદાવાદ મહાનગરપાલિકાની 192 બેઠકમાંથી ભાજપનો 159માં જ્યારે કોંગ્રેસનો 25 બેઠક પર વિજય થયો છે. તેમજ AIMIMની 7 અને અપક્ષની એક બેઠક પર જીત થઈ છે. આ પહેલા ભાજપનો 2005, 2010, 2015 અને હવે 2021માં ભવ્ય વિજય થયો છે.સુરતમાં 120 બેઠકોમાંથી ભાજપે 93 બેઠકો પર જીત મેળવી ફરી સત્તા મેળવી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડાં સાફ થઈ ગયા છે અને તે એકપણ બેઠક જીતી શક્યું નથી. બીજી તરફ આમ આદમી પાર્ટીને લોટરી લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી સુરતમાં 27 બેઠકો જીતવા સફળ રહ્યું છે. સુરતમાં આમ આપ પાર્ટીના પ્રદર્શને બધાને ચોંકાવી દીધા છે.વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની સતત ચોથી વખત ભાજપે સત્તા પર કબજો કર્યો છે. વડોદરાની 76 સીટોમાં 69 બેઠક પર ભાજપનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસનો માત્ર 7 બેઠક પર વિજય થયો છે.