એક સમયે દૂરદર્શન પર પ્રસારિત થતી રામાનંદ સાગર કૃત ‘રામાયણ’ સિરિયલમાં લંકેશનું પાત્ર ભજવીને ઘરે ઘરે લોકપ્રિય બનેલા ગુજરાતી અભિનેતા અરવિંદ ત્રિવેદીનું મુંબઈના કાંદિવલી ખાતેના નિવાસ સ્થાને નિધન થયું છે. અરવિંદભાઈના ભત્રીજા કૌસ્તુભ ત્રિવેદીએ આ સમાચાર સોશિયલ મીડિયાના માધ્યમથી આપતાં ‘લંકેશ’ના ચાહકોને આંચકો લાગ્યો હતો.
અરવિંદ ત્રિવેદી રામના ભક્ત હતા અને ઘરમાં મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી
મૂળ ઈડરના કુકડિયા ગામના વતની અને પૂર્વ સાંસદ અરવિંદ ત્રિવેદીનો જન્મ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો, પરંતુ તેમની કારકિર્દીની શરૂઆત ગુજરાતી નાટકોમાંથી થઈ હતી. તેમના ભાઇ ઉપેન્દ્ર ત્રિવેદી ગુજરાતી ફિલ્મ્સના સુપરસ્ટાર હતા.અરવિંદ ત્રિવેદીએ 300 જેટલી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. અરવિંદ ત્રિવેદીએ ‘સંતુ રંગીલી’, ‘હોથલ પદમણી’,’કુંવરબાઈનું મામેરું’, ‘જેસલ-તોરલ’ અને ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’ જેવી અનેક ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરીને લોકપ્રિયતા મેળવી હતી. અરવિંદ ત્રિવેદીએ ‘પરાયા ધન’,’આજ કી તાજા ખબર’ જેવી હિન્દી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો.
આ ઓન સ્ક્રીન લંકાધિપતિ રાવણે પોતાના ઘરમાં મોરારિબાપુના હાથે રામની મૂર્તિની સ્થાપના કરાવી હતી. અરવિંદ ત્રિવેદી આજે રામભક્ત બની ગયા છે. રામાનંદ સાગરની ‘રામાયણ’માં રાવણની ભૂમિકા નિભાવ્યા બાદ તેઓ સમગ્ર દેશમાં જાણીતા બની ગયા હતા. ત્યાર બાદ તેઓ ‘લંકેશ’નાં નામથી ઓળખાવા લાગ્યા હતા. આજે પણ અરવિંદ ત્રિવેદી ‘લંકેશ’નાં નામથી જ ઓળખાય છે. એક ઈન્ટરવ્યુમાં અરવિંદ ત્રિવેદીએ જણાવ્યું હતું કે જ્યારે હું સિરિયલમાં રાવણનું પાત્ર ભજવતો ત્યારે શૂટિંગમાં જતા સમયે રામના ફોટાની પૂજા કરતો હતો. તમે જે પાત્ર ભજવો છો એનો પણ આદર કરવો જોઈએ અને તેથી જ હું રાવણની પૂજા કરતો હતો.
ગુજરાત સરકારથી લઈને દેશ અને દુનિયાની અનેક સંસ્થાઓ તેમને પુરસ્કારો આપીને સન્માનિત કર્યા છે. ‘રામાયણ’ના આ ખલનાયકે ઘણી ફિલ્મ્સમાં નાયકની પણ ભૂમિકાઓ કરી છે. ગુજરાતી અને હિન્દી ફિલ્મ્સમાં સફળ રહેલાં અરવિંદ અનેક સામાજિક કાર્ય કરનારી સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. ‘રામાયણ’ના આ ખલનાયક રિયલ લાઇફમાં પણ નાયક હતા.