મુંબઈ: કોરોનાની મહામારીની અસર વચ્ચે કેન્દ્રના આવતા મહિને રજુ થનારા નાણાં વર્ષ ૨૦૨૧-૨૨ના બજેટમાં દેશનો ઉદ્યોગજગત અનેક અપેક્ષા રાખી રહ્યો છે જેમાંની એક અપેક્ષા ઈન્વેસ્ટમેન્ટમાં વધારો થાય તેવા પગલાંની છે. આગામી નાણાં વર્ષનું બજેટ નાણાં પ્રધાન નિર્મલા સીતારામન પહેલી ફેબુ્રઆરીના રોજ રજૂકરનાર છે.કોરોનાને કારણે વર્તમાન નાણાં વર્ષમાં ઉદ્યોગોમાં ઈન્વેસ્ટમેન્ટ સાયકલ એકદમ ખોરવાઈ ગઈ છે. દેશમાં રસીકરણનો કાર્યક્રમ સફળ રહેશે તો આગામી નાણાં વર્ષમાં અર્થતંત્રમાં ગતિ આવવાની દેશના ઉદ્યોગો અપેક્ષા રાખી રહ્યા છે.એક રિસર્ચ પેઢી દ્વારા ૩૩ સીઈઓના હાથ ધરાયેલા સર્વેમાં ૭૩ ટકા સીઈઓએ આગામી નાણાં વર્ષમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાની યોજના હોવાનું જણાવ્યું હતું. રસીકરણના કાર્યક્રમ સાથે કર્મચારીઓ ફરી સંપૂર્ણ સ્તરે કામે લાગી જવાની તેમને આશા છે. કોરોનાને કારણે ઉદ્યોગજગત પર પડેલી અસરને કારણે તેઓ સરકાર પાસે વધુ અપેક્ષા રાખી રહ્યા છે જેને ધ્યાનમાં રાખતા આવતા વર્ષનું બજેટ મહત્વનું બની રહેશે. ફુગાવાનો ઊંચો દર એક મોટું જોખમ છે એટલું જ નહીં દેશના અર્થતંત્રને રિવાઈવ કરવા રસીકરણ મહત્વનું પાસું બની રહેશે એમ અન્ય એક સીઈઓએ મત વ્યકત કર્યાનું સર્વે રિપોર્ટમાં જણાવાયું હતું.