સુરત: શહેરના કીમ ચાર રસ્તા નજીક પાલોદ ગામની સીમમાં કિમ-માંડવી રોડ પર કાળમુખા ડમ્પરે અકસ્માત સર્જીને ૧૫ લોકોનો ભોગ લાનારા ડમ્પરના ચાલક અને ક્લીનર બંને નશાખોર હોવાની આશંકા વ્યકત કરવામાં આવી હતી. જોકે, આ અકસ્માતમાં બંને જણા ઘાયલ થયા હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શેરડી ભરેલા ટ્રેક્ટર સાથે અકસ્માત બાદ ડમ્પરના ચાલકે કાબૂ ગુમાવી દીધો હતો. જોકે, ડમ્પરના ચાલક પુનાલાલ કેવટ અને કંડક્ટર સુદામા યાદવને પોલીસે ઝડપી પાડ્યા હતા, જ્યારે આ બંને દારૂ અને ગાંજાના નશામાં હોવાની પોલીસને આશંકા છે. પોલીસ બંનેના રિપોર્ટની રાહ જોઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માત સર્જ્યા બાદ ડ્રાઈવર અને કંડક્ટર બોલવાની કે ચાલવાની હાલતમાં પણ ન હતા. જોકે, મોડેથી ભાનમાં આવેલા ડમ્પરના ડ્રાઈવર પૂનાલાલ કેવટ (મૂળ રહે મધ્ય પ્રદેશ)એ જણાવ્યું હતું કે અરેઠથી ખાલી ડમ્પર લઈને ઓલપાડ કપચી ભરવા માટે જતો હતો. દરમિયાન સામેથી આવતા શેરડી ભરેલા ટ્રેક્ટરની પાછળની લારી સાથે તેનું ડમ્પર અથડાયું અને પછી તેને કંઈ ખ્યાલ ન રહ્યો. બ્રેક પૂરતી મારી હોવા છતાં અકસ્માત સર્જાયો હતો