પુત્રને જન્મ આપી મહિલાએ સારવાર લીધી અને ગણતરીના દિવસોમાં ભાગી ગઈ.
અમદાવાદ: તાજેતરમાં જ શહેરનાસોલા સિવિલ હોસ્પિટલમાંથી એક બાળકીનું અપહરણ કરાયું હોવાની ઘટના બની હતી. સોલા પોલીસે અનેક ટિમો બનાવી સતત સીસીટીવીનું મોનિટરીંગ કરી જુહાપુરાની એક મહિલાની ધરપકડ કરી હતી. બાળકીને સુરક્ષિત હાલતમાં તેના માતા પિતાને સોંપાઈ હતી. આ ઘટનાની હજુ સાહી સુકાઈ નથી ત્યાં બાળક તરછોડીને માતા ફરાર થવાની વધુ એક ઘટના શહેરમાં બની છે.
દાખલ થયા ત્યારે પણ બિનવારસી હાલતમાં આવ્યા હતા
આ અંગે મળતી માહિતી પ્રમાણે, વટવામાં રહેતા જ્યોતિબહેન ભોઈ એલજી હોસ્પિટલમાં ગાયનેક વોર્ડમાં ફરજ બજાવે છે. તેઓની ગઈકાલે નોકરી બે વોર્ડમાં સ્ટાફ નર્સ તરીકે હતી. તે દરમિયાન GICU વોર્ડમાં 4 નંબરના પલંગ પર દાખલ દર્દી ખુરશીદા બહેન રંગરેજ હાજર મળી આવ્યા નહોતા. આ ખુરશીદા બહેન 16મીએ બિનવારસી હાલતમાં લેબર વોર્ડમાં દાખલ થયા હતા. જે બાબતની રામોલ પોલીસને વર્ધિ પણ લખાવવામાં આવી હતી. ડિલિવરી બાદ ત્રણ દિવસ સુધી તેઓ લેબર વોર્ડમાં સારવાર હેઠળ હતા.
ચાર વર્ષના બાળકને છોડી માતા ફરાર
ગત 20મીએ તેઓને ગાયનેક આઇસીયુ વોર્ડમાં બાળક સાથે સારવાર માટે શિફ્ટ કરાયા હતા. બાદમાં 21મીએ તેઓ ત્યાં જણાયા નહોતા અને બાળક ત્યાં હતું. ચાર દિવસના બાળકને મૂકીને આ ખુરશીદા બહેન ફરાર થઈ જતા સમગ્ર બાબતની જાણ મણિનગર પોલીસને કરાઈ હતી. જેથી પોલીસે આ મામલે હવે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ પહેલા પણ બની હતી બાળકન તરછોડવાની ઘટના
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પણ મણિનગરમાં આવી બાળક ત્યજી દેવાની ઘટના સામે આવી હતી. જેમાં પોલીસે મહિલા આરોપીની ધરપકડ કરી હતી. જે ઘટનામાં પોલીસે સીસીટીવી ફૂટેજ પરથી ભેદ ઉકેલ્યો હતો. બાદમાં સોલા સિવિલ માંથી બાળકીનું અપહરણ કરવાની ઘટના બની હતી. જેમાં ગણતરીના દિવસોમાં સોલા પોલીસે ખૂબ મહેનત કરી આરોપી મહિલાની ધરપકડ કરી હતી. ત્યારે હવે આ કેસમાં આરોપી મહિલાની કેટલા સમયમાં ધરપકડ થાય છે તે જોવાનું રહેશે. બીજીતરફ અગાઉ પણ આવો જ એક કિસ્સો મણિનગરમાં સામે આવ્યો હતો જેમા તો ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરનાર ડોક્ટરની પણ ધરપકડ કરાઈ હતી.