અમદાવાદ : રાજ્યમાં કોરોના સંક્રમણને પગલે સોમવારથી ગુજરાત હાઇકોર્ટમાં ફિઝિકલ હિયરિંગ બંધ કરવામાં આવ્યું છે. હવે વર્ચ્યુઅલ સુનાવણી થશે. સોમવારથી કોર્ટ કેમ્પસમાં સ્ટાફ સિવાયના લોકોનો પ્રવેશ બંધી કરવામાં આવશે. આગામી બે દિવસ સુધી હાઇકોર્ટ પરિસરનું સેનિટાઇઝેશન કરવામાં આવશે. વકીલોની ચેમ્બર્સ પણ બંધ કરાશે. કેસના ફાઇલિંગ માટે 10 કાઉન્ટર્સ શરૂ કરાશે. વિસ્તૃત માર્ગદર્શિકા આજે દિવસ દરમ્યાન જાહેર થશે બે દિવસ પહેલા ગુજરાત હાઈકોર્ટમાં પ્રવેશ માટે ગેટ નંબર 5 સિવાય તમામ ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા. તેમજ માત્ર વકીલોને કોર્ટમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. કોર્ટની કેન્ટીન પણ બંધ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મહામારીને કારણે આ પહેલા 17 મહિના સુધી હાઇકોર્ટમાં વર્ચ્યુઅલ હિયરિંગ ચાલ્યું હતું. ત્યાર બાદ 17 ઓગસ્ટથી ફિઝિકલ હિયરિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ગુજરાત હાઇકોર્ટ એડ્વોકેટ્સ એસોસિએશને વર્ચ્યુઅલ સુનાવણી કરવા માટે ચીફ જસ્ટિસને રજૂઆત કરી હતી. હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનની મેનેજિંગ કમિટીના સભ્યોએ વધતા કોરોના કેસને લઈ કોર્ટની કાર્યવાહી આગામી ત્રણ અઠવાડીયા સુધી વર્ચ્યુઅલ કરવા રજૂઆત કરી હતી. હાઇકોર્ટની હયાત SOPને ધ્યાને લેતા કોર્ટ વર્ચ્યુઅલ મોડમાં ચાલે એવી ચીફ જસ્ટિસને રજૂઆત કરી હતી. અગાઉ 3 દિવસ પહેલા હાઈબ્રીડ મોડમાં હિયરિંગ રાખવા એડવોકેટ્સ એસોસિયેશનને રજૂઆત કરી હતી.ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવતાં આખરે રાજ્ય સરકારે 6 જાન્યુઆરીએ આગામી 10થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો, સાથે જ અમદાવાદમાં યોજાનારા ફ્લાવર શો તથા પતંગોત્સવ પણ રદ કરવામાં આવ્યા છે. વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે દેશ-વિદેશથી પ્રતિનિધિમંડળો આવવાના હતા. જોકે ગુજરાત સહિત દેશ તથા દુનિયાભરમાં પણ સંક્રમણ વ્યાપક બનતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.