કાબુલમાં થયેલા વિસ્ફોટ પછી અફઘાનિસ્તાનના ક્રિકેટ-સ્પિનર રાશિદ ખાને ઘણાં દુ:ખ સાથે કહ્યું હતું કે અફઘાનોને મહેરબાની કરીને મારવાનું બંધ કરો.તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે કે કાબુલમાં ફરી લોહી વહી રહ્યું છે. મહેરબાની કરીને અફઘાનોને મારવાનું બંધ કરો. આ પહેલાં તેમણે દુનિયાના નેતાઓને એકસાથે આવવા અને પોતાના દેશની સ્થિતિ સામાન્ય કરવા માટે અપીલ કરતી પોસ્ટ કરી હતી.પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે પ્રિય વિશ્વ નેતાઓ, મારા દેશમાં અરાજકતા છે. બાળકો અને મહિલાઓ સહિત હજારો નિર્દોષ લોકોને મારવામાં આવી રહ્યા છે. ઘરો અને સંપત્તિ નષ્ટ થઈ રહ્યાં છે. અમને આ રીતે રસ્તે રઝળતા ના મૂકી દો.અફઘાનિસ્તાનના પાટનગર કાબુલના હામિદ કરઝઈ ઈન્ટરનેશનલ એરપોર્ટની સામે ગુરુવારે સાંજે બે આત્મઘાતી હુમલા થયા છે. અમેરિકન ન્યૂઝપેપર વોલ સ્ટ્રીટ જર્નલના જણાવ્યા પ્રમાણે, આ બ્લાસ્ટમાં 80 લોકોનાં મોત થયાં છે અને 200થી વધારે લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં એક ડઝન અમેરિકન મરીન કમાન્ડો પણ સામેલ છે, જ્યારે 15 લોકો ઘાયલ થયા છે.ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, આતંકી સંગઠન ISISએ ખુરાસાન ગ્રુપે આ હુમલાની જવાબદારી લીધી છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના જનરલ કેનેથ મેંકેજીએ જણાવ્યું હતું કે કાબુલ એરપોર્ટથી તમામ ફ્લાઈટ્સ ઓપરેશન બંધ કરી દીધાં છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, અહીં વધુ હુમલા થઈ શકે છે.અફઘાનિસ્તાન તરફથી અત્યારસુધી રમવામાં આવેલી 74 મેચમાં રાશિદ ખાન 4.18ની ઈકોનોમી રેટથી 140 વિકેટ લઈ ચૂક્યો છે અને 51 ટી-20માં 6.21ની ઈકોનોમી રેટથી 95 વિકેટ પોતાના નામે કરી લીધી છે.