(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૬
વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પ્રિયંકા ગાંધીને ટિકિટ ન આપવા અંગે કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ ટોણો માર્યો છે. તેમણે કહ્યું કે, પ્રિયંકા ગાંધીના દાવાઓ ફ્લોપ થઈ ગયા. ભારતની એક કહેવત છે કે, બંધ મુઠ્ઠી લાખની, ખુલી જાય તો ખાખની. અત્યાર સુધી એવી અટકળો હતી કે પ્રિયંકા ગાંધીના રાજકારણમાં આવવાથી ફેર પડશે. પરંતુ હકીકતમાં કંઈ બીજું જ જોવા મળ્યું છે.
જેટલીએ એક બ્લોગ દ્વારા કોંગ્રેસ પર નિશાન સાધીને લખ્યુ કે વાયનાડમાં શરણાર્થી, વારાણસીથી ભાગ્યો એક શરણાર્થી, કહાની એક વંશવાદ પરિવારની. તેમણે આમાં લખ્યુ કે છેલ્લા બે મહિનાથી પ્રિયંકા ગાંધી લોકોની વચ્ચે છે. ભારતમાં હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. વંશવાદના અર્થ ખતમ થઈ ગયા છે. પ્રિયંકા ગાંધીની હવાની પોલ ખુલી ગઈ છે. સૂત્રોની માનીએ તો પ્રિયંકા ગાંધીને વારાણસીથી મેદાનમાં નહિ ઉતારવાનો નિર્ણય તેમના પોતાના ભાઈ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો છે.