Business માંડવાળ કરેલી લોનની રિકવરી માટે બેંકો વન ટાઈમ સેટલમેન્ટને ઝડપી બનાવશે By The Venus Times - July 18, 2023 0 103 Share on Facebook Tweet on Twitter – નાણાં મંત્રાલયે લોન રિકવરી કરવા બેંકોને સૂચના આપી હતી દેશની જાહેર ક્ષેત્રની બેન્કો માંડવાળ કરેલી લોન્સમાં આગામી દિવસોમાં વન ટાઈમ સેટલમેન્ટ (ઓટીએસ)ને ઝડપી બનાવશે તેવી ધારણાં રાખવામાં આવી રહી છે. માંડવાળ કરેલી લોનની રકમના ચાલીસ ટકા રિકવરી ટાર્ગેટ રાખવા રિઝર્વ બેન્ક દ્વારા તાજેતરમાં બેન્કોને અપાયેલી સૂચનાને ધ્યાનમાં રાખી બેન્કો ઓટીએસને ઝડપી બનાવવા ધારે છે.૩૧મી માર્ચ ૨૦૨૨ના સમાપ્ત થયેલા છ વર્ષમાં બેન્કોએ કુલ રૂપિયા ૮.૧૬ લાખ કરોડની લોન્સને તેમના ચોપડામાંથી માંડી વાળી હોવાનું એક અહેવાલમાં જણાવાયું હતું. નાણાં વર્ષ ૨૦૨૨-૨૩ના પ્રથમ નવ મહિનામાં જાહેર ક્ષેત્રની બેન્કોએ કુલ રૂપિયા ૯૦૯૫૮ કરોડ માંડી વાળ્યા હતા. માંડવાળ કરેલી લોન્સમાંથી વસૂલીનો આંક ઘણો જ નબળો રહ્યો હોવાથી નાણાં મંત્રાલયે બેન્કોને રિકવરી ઝડપી બનાવવા સૂચના આપી છે.નાણાં મંત્રાલયની સૂચનાના ભાગરૂપ બેન્કો ઓટીએસને ઝડપી બનાવવા યોજના ધરાવે છે, એમ રિઝર્વ બેન્કના સુત્રોએ જણાવ્યું હતું. દરેક બેન્કોએ રિકવરી માટે ઓટીએસ સહિત વિવિધ યોજના તૈયાર કરી છે. ઓટીએસને કારણે રિકવરી વધુ થવાની બેન્કોને અપેક્ષા છે. લોન્સ માંડી વાળવામાં જાહેર ક્ષેત્રની બેન્કો કરતા ખાનગી બેન્કો વધુ આક્રમક જોવા મળી રહી છે. નાણાં મંત્રાલય ઉપરાંત રિઝર્વ બેન્ક દ્વારા પણ બેન્કોને નબળી લોન્સની રિકવરી ઝડપી બનાવવા સૂચના અપાઈ છે. કોઈ લોન્સ બેડ લોન્સ જાહેર કરાયા બાદ બેન્કો તેને ચાર વર્ષ સમાપ્ત થવા પર રાઈટ ઓફ્ફ કરીને તેની વસૂલી ચાલુ રાખી શકે છે. રાઈટ ઓફ્ફને કારણે બેન્કોના ચોપડા પરથી તેનું ભારણ ઓછું જણાય છે.