Dharmik મોહનથાળ પ્રસાદ વિવાદનો ઉકેલ ન આવતા આજે અંબાજી બંધ; ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવાઈ શકે છે By The Venus Times - March 11, 2023 0 71 Share on Facebook Tweet on Twitter અંબાજી મંદિરમાં પ્રસાદનો વિવાદ દિવસેને દિવસે ઉગ્ર બનતો જાય છે. અંબાજી મંદિરમાં મોહનથાળનો મહાપ્રસાદ બંધ કરીને ચીક્કીનો પ્રસાદ શરૂ કરતા આ વિવાદ શરૂ થયો છે. મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવાને લઈને તમામ હિન્દુ સંગઠનો ભારે વિરોધ કરી રહ્યા છે, ત્યારે આજે અંબાજી બંધ રાખીને આ નિર્ણયનો વિરોધ કરાઈ રહ્યો છે.આ વિવાદમાં રાજકીય પક્ષોની પણ એન્ટ્રી થઈ છે. કોંગ્રેસે અંબાજી પ્રસાદનો મુદ્દો ગઈકાલે વિધાનસભામાં પણ ઉઠાવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ ભાજપના ધારાસભ્યોને મોહનથાળ ખવડાવ્યો હતો. આ મુદ્દાને લઈને કોંગ્રેસે વોકઆઉટ કર્યું હતું. તો આ તરફ અંબાજી ભાજપ યુવા અંગ્રણી અને ઉપપ્રમુખ સુનિલભાઈ બ્રહ્મભટ્ટે આ વિવાદમાં 8 દિવસ બાદ પણ કોઈ નિર્ણય ન લેવાતા રાજીનામુ આપી દીધું છે. મોહનથાળ વિવાદમાં વિશ્વ હિન્દુ પરિષદ અને ભાજપના આગેવાનોની એન્ટ્રી થતા હવે તંત્ર ટૂંક સમયમાં મોટો નિર્ણય લે તેવી સંભાવના સેવાઈ રહી છે.સુનિલભાઈ સાથે અંબાજી ભાજપ યુવા અગ્રણી માણેક જોશી સહિત પાંચ કાર્યકર્તાઓએ પણ રાજીનામા આપતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે. બીજી તરફ દાતાઓએ અંબાજીમાં ફ્રીમાં મોહનથાળનો પ્રસાદ વહેચવાની શરૂઆત કરી છે. દાતાઓએ એવી વાત કરી છે કે જ્યાં સુધી સુખડીનો પ્રસાદ બંધ નહીં થયા ત્યા સુધી અંબાજીમાં ફ્રીમાં મોહનથાળનો પ્રસાદ આપવામાં આવશે.ગુજરાતભરના વિવિધ હિન્દુ સંગઠન દ્વારા પણ આ મુદ્દાનો ભારે વિરોધ થઈ રહ્યો છે. આ મુદ્દે તાત્કાલિક નિર્ણય લેવામાં આવે તેવી વિશ્વ હિન્દુ પરિષદ પણ આ મુદદે લડી લેવાના મૂડમાં છે તો આ તરફ રાજવી પરિવારના મહારાજા પરમવીર સિંહે મોહનથાળ બંધ કરાતા વિરોધ નોંધાવ્યો છે અને જો કહ્યું હતું કે જો મોહનથાળનો પ્રસાદ શરૂ નહીં કરાય તો આ મુદ્દાને કોર્ટમાં લઈ જવામાં આવશે.