એક મહિના પહેલાં બજારમાં શાકભાજી પ્રતિ કિલો રૂપિયા 60ના ભાવે વેચાણ થતું હતું. પરંતુ શાકભાજીની બમ્પર આવકને પગલે હાલમાં પ્રતિ કિલો રૂપિયા 30ના ભાવે મળી રહી છે. શાકભાજીના ભાવ ડાઉન થતાં ગૃહિણીઓને આંશિક આર્થિક રાહત મળી છે. છેલ્લા બે વર્ષથી ચોમાસું સારૂ રહેતા તેની સીધી અસર રવિ અને ખરીફ પાક ઉપર જોવા મળે છે. જોકે ચોમાસામાં જે શાકભાજીના ભાવ પ્રતિ કિલો રૂપિયા 60થી 120 થયા હતા. પરંતુ શિયાળાની જમાવટ અને પ્રતિકુળ હવામાનને પગલે શાકભાજીની બમ્પર આવક માર્કેટમાં થઇ છે. આથી હાલમાં શાકભાજીના ભાવ પ્રતિ કિલો રૂપિયા 10થી 30ના થઇ ગયા છે. જોકે રાજ્ય સરકાર દ્વારા બાગાયતી ખેતીને વધુ પ્રાધાન્ય આપતા ખેડુતોનો શાકભાજીની ખેતી પ્રત્યે વધુ જોક જોવા મળી રહ્યો છે. ઉપરાંત ખેતીમાં અન્ય કઠોળ કે અનાજના પાકના પોષણક્ષમ ભાવ નહી મળવાથી પણ ખેડુતો શાકભાજીના વાવેતર તરફ વળ્યા હોય તેમ લાગી રહ્યું છે. જિલ્લામાં રવિ સીઝનમાં 9059 હેક્ટરમાં શાકભાજીનું વાવેતર થયું છે. આથી શાકભાજીની આવક બજારમાં બમણી થઇ ગઇ છે. જ્યારે તેની સામે લેવાલી ઓછી હોવાથી ભાવ ઘટી રહ્યા હોવાનું 40 વર્ષથી શાકભાજીની દલાલી કરતા વેપારીએ જણાવ્યું છે.શાકભાજીની આવક વધતા ભાવ હાલ તળીયે જતા ખેડૂતોને હાલત કફોડી થઇ છે. કોબીજ, ફુલાવર, મેથી પ્રતિ 20 કિલોનો હોલસેલ ભાવ રૂપિયા 10થી 20, તુવેર, વટાણા, દૂધી, ટામેટા, ગાજરનો પ્રતિ 20 કિલોનો હોલેસલ ભાવ રૂપિયા 40થી 50 મળતો હોવાનું ખેડુતોએ જણાવ્યું છે.