રાહુલને ગુજરાત હાઇકોર્ટમાંથી પણ ઝટકો:અરજી નકારતાં 2 વર્ષની સજા યથાવત્

0
84
શક્તિસિંહે કહ્યું- સુરત કોર્ટનું અધિકારક્ષેત્ર નહોતું
કર્ણાટકમાં બોલાયેલી વસ્તુનો કેસ સુરતમાં ન થઈ શકે

નવી દિલ્હી : મોદી અટક બદનક્ષી કેસમાં સુરતની નીચલી અદાલતે રાહુલ ગાંધીને બે વર્ષની સજા અને પંદર હજાર રૂપિયાના દંડની સજા સંભળાવી હતી. ત્યાર બાદ રાહુલ ગાંધી દ્વારા સુરત કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જોકે હાઇકોર્ટમાં બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ જજે ચુકાદાને ઉનાળુ વેકેશન બાદ આપવાનું જણાવ્યું હતું. ત્યારે રાહુલ ગાંધી સામેના બદનક્ષી કેસમાં આજે ગુજરાત હાઇકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. જજ હેમંત પ્રચ્છકે ચુકાદો સંભળાવ્યો હતો અને રાહુલ ગાંધીની અરજી નકારી હતી. આથી રાહુલ ગાંધીની બે વર્ષની સજા યથાવત્ રહી છે. આ ચુકાદાને લઈ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે સુરત કોર્ટનું જ્યુરિડિક્શન નહોતું, કર્ણાટકમાં બોલાયેલી વસ્તુનો કેસ સુરતમાં ન થઈ શકે અને જો કરવો હોય તો કાનૂની પ્રોસીજર ફોલો કરવી પડે. લલિત મોદી, નીરવ મોદી દેશને લૂંટીને ગયા હોય તો એની વાત કરવી ગુનો ન બને. ​​​​​​ હાઇકોર્ટને નીચલી કોર્ટના ચુકાદામાં હસ્તક્ષેપ યોગ્ય ન લાગ્યો, આથી રાહુલ ગાંધીની 2 વર્ષની સજા યથાવત્ રખાઇ છે, જેથી તેમને સંસદપદ પાછું મળવાની આશા પર પાણી ફરી વળ્યું છે. કોર્ટે કહ્યું હતું કે તેમની સામે 10 ગુના નોંધાયા છે, જે હજી પેન્ડિંગ છે. વીર સાવરકરના પૌત્ર દ્વારા પુણેની કોર્ટમાં બદનક્ષીનો કેસ કરાયો છે. રાહુલ ગાંધીએ કેમ્બ્રિજમાં વીર સાવરકરની બદનક્ષી કરી હતી. જોકે હાઇકોર્ટ બહાર ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા બેનરો દર્શાવી પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ‘બંધારણીય વડા આપ રક્ષક છો’, ‘બંધારણની રક્ષા કરો’, ‘રાહુલ ગાંધીનો સાથ નહીં છોડે ગુજરાત’, ‘રાહુલજીની એક જ વાત, ડરો મત’, ‘લોકશાહી બચાવો સંવિધાન બચાવો’, ‘ના ડરેંગે ના ઝુકેંગે’ લખેલાં બેનરો દર્શાવી પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જ્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આજે ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો આવ્યો છે, બપોરે 3 વાગ્યે જજમેન્ટ જોયા પછી મનુ સંઘવી વાત કરશે, ટેક્નિકલ મુદ્દા ઘણા છે. કર્ણાટકમાં બોલાયેલી બાબતનો સુરતમાં કેસ કઈ રીતે થયો. નીરવ મોદી અને લલિત મોદી દેશને લૂંટીને ગયા તો એ બાબત ખોટી નથી. અમરેલીના સાંસદ નારણ કાછડિયાને મારામારીના કેસમાં સુપ્રીમમાંથી રાહત મળી હતી. 80થી 90 પેજનો ચુકાદો છે. AICC તરફથી ચુકાદો આવ્યા પછી વાત કરશે. કર્ણાટકમાં બોલ્યા તો સુરતમાં કેસ કરાયો તો કાનૂની પ્રક્રિયા કરી નથી. કોઈ સમાજ વિરુદ્ધ નથી બોલ્યા. જનતાની અદાલત સૌથી મોટી છે. જનતા બધું જાણે છે કે અંદર અને બહાર શું ચાલે છે. સુપ્રીમ કોર્ટ ફાઇનલ ઓથોરિટી છે. માત્ર સામાન્ય FIR થાય તેને નજર રાખો તો ભાજપના 80 ટકા લોકો સામે થાય. વિપક્ષ મજબૂતીથી એક થશે.પૂર્ણેશ મોદીના વકીલ હર્ષિત ટોળિયાએ માડિયા સમક્ષ જણાવ્યું હતું કે નીચેની કોર્ટના મુદ્દા અને હુકમ છે એ બિલકુલ ન્યાયના સિદ્ધાતો મુજબ છે અને એમાં કોઈ ક્ષતિ નથી. ઉપરાંતમાં આરોપીનો ગુનાહિત ઈતિહાસ છે. MLA, MP હોવા માટેની ડિસ્ક્વોલિફિકેશન થાય એ તો કાયદાની પ્રક્રિયા છે. કોઈ વિશેષ પ્રકારના લાભ મળી શકે નહીં. MP, MLA હોવાના અને 10 જેટલા તેમની સામે ગુનાહિત કેસ છે, આજ પ્રકારના પેડિંગ છે. આ બધા સંજોગો જોતાં ડિવિઝન અરજી નામંજૂર કરવામાં આવી છે. હજુ આખો ચુકાદો હાથમાં આવવાનો બાકી છે. નામદાર જજ સાહેબ સહી કરશે, પછી ચુકાદો ટ્રાન્સફર થશે, પછી ચુકાદો હાથમાં આવશે. બપોર સુધીમાં મળી જવો જોઈએ અને પછી તેનો અભ્યાસ કરી આગળની વધીશું.કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા રૂમની બહાર વિરોધ કરવામાં આવ્યો હતો, જેના પર પૂર્ણેશ મોદીએ જવાબ આપ્યો હતો કે કોર્ટના ચુકાદા પર ભરોસો રાખવો જોઈએ. માત્ર રાજકીય રંગ ન આપો, આ રાજકીય નહીં, સામાજિક લડાઈ છે. સમાજનું અપમાન સહન નહીં કરી લેવાય. પૂર્ણેશ મોદીના વકીલ હર્ષિત ટોળિયાએ જણાવ્યું હતું કે આજે ચુકાદો આવ્યો છે, જેમાં નીચલી કોર્ટના ચુકાદામાં કોઈ હસ્તક્ષેપ કરવામાં આવ્યો નથી. નીચલી કોર્ટનો ચુકાદો બરાબર હોવાનું કોર્ટે નોંધ્યું છે. તેમની સામે 10 જેટલા આવા ગુના નોંધાયા છે, જે હજી પેન્ડિંગ છે.અમિત ચાવડાએ જણાવ્યું હતું કે લોકશાહીમાં માને છે તેવા લોકોને દુઃખ થાય એવો નિર્ણય આજે આવ્યો છે, અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું. રાહુલનો અવાજ દબાવવા પ્રયાસ કરાયો છે. વિવિધ જગ્યાએ માનહાનિના કેસો કરવામાં આવ્યા છે. એક બાદ એક ચુકાદા આપવામાં આવી રહ્યા છે કે લોકશાહીનું હનન કરવામાં આવી રહ્યું છે. દેશના અન્યાયો પર અવાજ ઉઠાવ્યો અને સાંસદમાં અવાજ ન ઉઠાવે એના માટે માનહાનિના કેસો કરવામાં આવ્યા છે. જૂના ચુકાદા હોવા છતાં પણ કોઈના દબાણમાં આવીને આવા ચુકાદા આપવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધીને દબાવી શકશો નહીં, લડાઈ અમે લડીશું.કોર્ટ રૂમની તમામ બેઠક ભરાઈ ગઈ હતી. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ, સિદ્ધાર્થ પટેલ, અમિત ચાવડા અને શૈલેષ પરમાર કોર્ટ રૂમમાં હાજર રહ્યા હતા. જ્યારે ચુકાદા પહેલાં કોર્ટ પહોંચેલા રાહુલ ગાંધીની લીગલ ટીમના વકીલ બાબુ માંગુકિયાએ જણાવ્યું હતું કે ચુકાદો ખૂબ મહત્ત્વનો છે. રાહુલ ગાંધીની સજા પરનો સ્ટેની માગ કરી છે. હાઇકોર્ટ સજા પર સ્ટે યથાવત્ રાખે તો અમે સુપ્રીમ કોર્ટ જઈશું, રાહુલ ગાંધીએ મોદી વિશે વાત કરી હતી, કોઈ સમાજ વિશે નહીંઉલ્લેખનીય છે કે હાઇકોર્ટનું ઉનાળુ વેકેશન 6 મેથી શરૂ થઇને 4 જૂને પૂર્ણ થયું હતું. આમ, રાહુલ ગાંધીને ચુકાદા માટે ઉનાળુ વેકેશન બાદ પણ 1 મહિના જેટલો સમય રાહ જોવી પડી. ગુજરાત હાઈકોર્ટે આજે સવારે 11 વાગ્યે ચુકાદો આપ્યો હતો. રાહુલ ગાંધી તરફથી વકીલ અમીબેન યાજ્ઞિક હતાં, 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમીબેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામે કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યાં હતાં. આજે જજ હેમંત પ્રચ્છકની કોર્ટે ચુકાદો આપ્યો હતો.રાહુલ ગાંધીએ મોદી અટક બદનક્ષી કેસમાં સુરતની નીચલી અદાલતના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. ત્યારે હાઇકોર્ટનાં જજ ગીતા ગોપીએ રાહુલની રિવિઝન અરજીને ‘નોટ બિફોર મી’ કહેતાં એ કેસ જજ હેમંત પ્રચ્છકની કોર્ટમાં ચાલી રહ્યો હતો. ત્યારે હાઇકોર્ટમાં ઉનાળુ વેકેશન પહેલાં સુનાવણીમાં રાહુલ ગાંધી તરફથી સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવી ઉપસ્થિત રહ્યા હતા. અભિષેક મનુ સિંઘવીએ નીચલી કોર્ટના ચુકાદા પર સ્ટેની માગણી સાથે ધારદાર દલીલો કરતાં કહ્યું હતું કે તેમના અસીલ પરનો કેસ ક્રિમિનલ નહીં, પરંતુ સિવિલ કક્ષાનો છે, જેમાં 6 મહિનાથી વધુ સજાની કાયદામાં જોગવાઇ નથી. ફરિયાદી ઘટનાસ્થળે ઉપસ્થિત પણ નહોતો. રાહુલને 2 વર્ષની સજાથી સંસદસભ્ય પદ રદ થતાં તેમના મત વિસ્તારના પ્રશ્નો તેઓ સંસદમાં ઉપાડી શકતા નથી. જે તેમના મત વિસ્તારના લોકો સાથે પણ અન્યાય છે. આ દલીલો 3 કલાક સુધી ચાલી હતી. રાહુલ ગાંધીની રિવિઝન અરજી પર હાઇકોર્ટમાં જજ હેમંત પ્રચ્છકની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જજ હેમંત પ્રચ્છકે પૂર્ણેશ મોદીના વકીલને અપીલેટ કોર્ટના તમામ રેકોર્ડ સર્ટિફિકેટ સાથે કોર્ટમાં જમા કરાવવા જણાવ્યું હતું.પુર્ણેશ મોદીના વકીલ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે રાહુલ ગાંધીએ પોતાની સ્પીચમાં કહ્યું છે કે નરેન્દ્ર મોદી ચોકીદાર નથી, તેઓ દેશના પૈસા લૂંટે છે. પ્રધાનમંત્રીએ રાફેલના સોદામાંથી પૈસા ચોર્યા છે. નીરવ મોદી, લલિત મોદી, વિજય માલ્યા અને મેહુલ ચોક્સી દેશના 30 હજાર કરોડ રૂપિયા લૂંટીને ભાગી ગયા છે. આ બધા મોદી જ કેમ છે?રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે તેઓ ગાંધી છે, સાવરકર નહીં, ગાંધી માફી માગશે નહીં. તેઓ જેલ જવાથી અને ડિસ્ક્વોલિફિકેશનથી ડરતા નથી. આથી જો તેઓ જેમ ફાવે તેમ બોલવાથી ડરતા ન હોય તો પછી કોર્ટમાં ડિસ્ક્વોલિફિકેશન રદ કરવા માટે પ્રાર્થના કરવાની જરૂર નથી.રાહુલ ગાંધી જાહેરમાં અયોગ્ય ટિપ્પણીઓ કરે છે, જેની તેઓ પબ્લિકમાં માફી નહીં માગવાનું કહે છે અને કોર્ટમાં પ્રાર્થના કરે છે. આ વિરોધાભાસી વર્તન છે. જ્યારે રાહુલ ગાંધી જાહેરમાં કહે છે કે બધા ‘મોદી’ ચોર છે. ત્યારે વડાપ્રધાનની અટક પણ મોદી છે. લોકોની સામે રાહુલ ગાંધી વડાપ્રધાનને બદનામ કરે છે.રાહુલ ગાંધીના વકીલ અભિષેક મનુ સિંઘવીએ આ કેસને અનુરૂપ જુદા જુદા કેસના ચુકાદાઓ ટાંક્યા હતા. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાનની અટક ‘મોદી’ છે, વડાપ્રધાનનું પદ ઊંચું છે પણ એ આ ફરિયાદનો કોન્સેપ્ટ નથી. નીચલી કોર્ટના ચુકાદાના મુદ્દાઓની સામે વન બાય વન સિંઘવીએ દલીલો કરી હતી. સિંઘવીએ જણાવ્યું હતું કે મોદી અટકના 13 કરોડ લોકોમાંથી કોઇનું મન દુભાયું નહીં, ફક્ત એક હાયપર સેન્સિટિવ વ્યક્તિને જ દુ:ખ થયું. રાહુલ ગાંધી સાંસદ હોવાથી તેમને નુકસાન થઇ રહ્યું છે. બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ જજ હેમત પ્રચ્છકે ચુકાદો હાઇકોર્ટના ઉનાળુ વેકેશન બાદ આપવાનું જણાવ્યું હતું. અભિષેક મનુ સિંઘવીએ કોર્ટને ત્યાં સુધી રાહુલ ગાંધીના અપીલેટ કોર્ટના ચુકાદા પર વચગાળાનો સ્ટે આપવાની માગ કરી હતી, જેનો ફરિયાદી પક્ષના વકીલે વિરોધ કરતાં ચુકાદો ઉનાળુ વેકેશન બાદ આપવાનું જજ હેમંત પ્રચ્છકે જણાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટનું ઉનાળુ વેકેશન 6 મેથી શરૂ થઇને 4 જૂને પૂર્ણ થયું હતું. આમ, રાહુલ ગાંધીને ચુકાદા માટે ઉનાળુ વેકેશન બાદ પણ 1 મહિના જેટલો સમય રાહ જોવી પડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here