નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 2.35 લાખ જેટલા નવા કેસ નોંધાયા છે. જ્યારે એક દિવસમાં 871 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2,35,532 કેસ નોંધાયા છે. જ્યારે ગઈ કાલે 2,51,209 નવા કેસ નોંધાયા હતા. એક દિવસમાં 3,35,939 લોકો કોરોનાને માત આપીને રિકવર થયા છે. એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટી છે. હાલ દેશમાં 20,04,333 દર્દીઓ સારવાર હેઠળ છે. દેશમાં ડેઈલી પોઝિટિવિટી રેટ 13.39% થયો છે. ઘટતા કેસ એકબાજુ જ્યાં રાહત આપે છે ત્યાં કોરોનાથી વધતા મૃત્યુની સંખ્યા ચિંતાજનક છે. ગઈ કાલે જે આંકડા જાહેર થયા હતા તે મુજબ એક દિવસમાં 627 લોકોના કોરોનાથી મોત નોંધાયા હતા. જેમાં હવે વધારો જોવા મળ્યો છે. આજે જાહેર કરેલા આંકડામાં છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી 871 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાને આપવા માટે રસીકરણ પણ પૂરપાટ ઝડપે ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોના રસીના કુલ 1,65,04,87,260 ડોઝ આપવામાં આવ્યા છે.