ગત વર્ષે પેટાચૂંટણીમાં નેતાઓની અને બજારોમાં લોકોની ભીડ ઉમટતાં બીજી લહેર શરૂ થઈ હતી
અમદાવાદ : ગુજરાતમાં 2020માં દિવાળીનો તહેવાર લોકોએ આનંદ અને ઉલ્લાસથી ઉજવ્યો હતો. ગત વર્ષે કોરોનાની ગાઈડ લાઈનના ધજાગરા ઉડાવીને બજારોમાં લોકોની ભીડ ઉમટી હતી. દિવાળીના તહેવાર બાદ અચાનક રાજ્યમાં કોરોનાના કેસોમાં મોટો વધારો થયો હતો.તે સમયે અમદાવાદમાં શનિવાર અને રવિવાર એમ બે દિવસનો કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. અમદાવાદ સહિત વડોદરા, સુરત અને રાજકોટમાં પણ બે દિવસના કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી હતી.લોકોની ઉજવણીએ તે સમયે બીજી લહેરને આમંત્રણ આપ્યું હતું અને દિવાળી બાદ શરૂ થયેલી બીજી લહેર સૌથી વધુ ઘાતક સાબિત થઈ હતી. હવે ફરીવાર 2021ના વર્ષમાં દિવાળીનો તહેવાર આવ્યો છે. હાલમાં પણ કોરોનાના કેસો નિયંત્રિત છે અને સરકારે વધુ છુટછાટો આપી છે. તેમજ આ વખતે 10મી નવેમ્બર સુધી આઠ મહાનગરોમાં રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે. જેથી હવે આ દિવાળીની રાત આઠ મહાનગરોમાં કર્ફ્યૂમાં વીતશે.રાજ્યમાં સરકારે ફરીવાર રાત્રિ કર્ફ્યૂનો સમય વધાર્યો છે. નવરાત્રિ પર્વ ચાલી રહ્યું છે ત્યારે રાજ્ય સરકારે મુદ્દત પૂરી થવાના 2 દિવસ બાકી છે ત્યારે વધુ એક મહિના માટે આગામી 10 નવેમ્બર સુધી અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર અને ભાવનગરમાં રાત્રિ કર્ફ્યૂને વધારવામાં આવ્યું છે. આઠેય શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ રાતના 12થી સવારના 6 વાગ્યા સુધી લાગૂ રહેશે ગુજરાતમાં 2020ના નવેમ્બરમાં કોરોના મહામારીની ગંભીર પરિસ્થિતિમાં પણ ગુજરાતમાં પેટાચૂંટણીઓ યોજાઈ હતી. દિવાળીના તહેવારોમાં બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી, મંદિરો અને પ્રવાસન સ્થળ પર લોકો ઉમટી પડી રહ્યા હતા, તે દરમિયાન કોરોનાને કાબુમાં લેવા સરકારે કોઈ પ્લાનિંગ ના કર્યું તે સમયે મીડિયા અને સોશિયલ મીડિયામાં નેતાઓ તથા પ્રજાની ભીડના કારણે કોરોના વિસ્ફોટ થવાનો ભય સતત વ્યક્ત કરવામાં આવ્યો હતો. છતાં સરકારે કોઈ પગલાં લીધા ન હતા. બાદમાં એકાએક કર્ફ્યૂ લાદી દઈને સરકાર કોરોના કાબુમાં લેવા માટે કાર્યવાહી કરી હતી. સરકારે વિકટ પરિસ્થિતિમાં છુટછાટો આપતાં ઘોડા છૂટ્યા બાદ તબેલે તાળાં મારવા જેવો ઘાટ સર્જાયો હતો.