રાજકોટ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં યશસ્વી જયસ્વાલે ભારતની બીજી ઇનિંગમાં તેના ટેસ્ટ કરિયરની બીજી બેવડી સદી ફટકારી હતી. જયસ્વાલે 214 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. જયસ્વાલે 236 બોલમાં 214 રન બનાવ્યા જેમાં 14 ચોગ્ગા અને 12 છગ્ગા સામેલ હતા. એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે જયસ્વાલને તેની શાનદાર બેવડી સદી માટે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવશે પરંતુ એવું થયું નહીં, જેથી ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પૂર્વ ભારતીય ઓપનર સંજય માંજરેકરે યશસ્વીને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ ન મળતા દુખ વ્યક્ત કર્યું હતુંત્રીજી ટેસ્ટમાં ભારતની જીત બાદ સંજય માંજરેકરે જયસ્વાલની ટેસ્ટમાં વિશેષ પ્રતિભાની પ્રશંસા કરી હતી. માંજરેકરે કહ્યું, “યશસ્વી જયસ્વાલ પાસે એક વિશેષ પ્રતિભા છે કે તે નવા બોલ સામે સારી ટેકનિક સાથે 50 બોલ સુધી ડિફેન્સીવ રીતે રમી શકે છે અને પછી તરત જ T20 મોડમાં આવી શકે છે. તેણે ફટકારેલા 12 છગ્ગા ખૂબ જ આધુનિક હતા કારણ કે તેઓ સ્ટેન્ડમાં જતા હતા. તે માત્ર એક જ શ્રેણીના શોટ રમે છે તેવું પણ નથી, તે કેટલાક એવા શાનદાર શોટ રમે છે જેને જોઇને આનંદ આવી જાય છે. તે ખરેખર દુઃખની વાત છે કે બે બેવડી સદી ફટકારવા છતાં તે પ્લેયર ઓફ ધ મેચ ન બની શક્યો.”