નવી દિલ્હી : GST વ્યવસ્થાને સરળ બનાવવાની માંગણીને લઈ વેપારીઓના ટોચના સંગઠન ધ કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કૈટ)એ 26મી ફેબ્રુઆરીએ ભારત બંધનું આહ્વાન કર્યું છે. આ સાથે જ સડક પરિવહન ક્ષેત્રની સર્વોચ્ય સંસ્થા ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલફેર અસોશિએશન (AITWA)એ પણ કૈટના સમર્થનમાં આ દિવસે જ ‘ચક્કાજામ’ કરવાની જાહેરાત કરી છે. આ કારણે 26 ફેબ્રુઆરીના રોજ તમામ વ્યવસાયિક બજારો બંધ રહેશે. કૈટના મહાસચિવે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને GST પરિષદ માલ અને સેવા કર (GST)ની આકરી જોગવાઈઓ સમાપ્ત કરે તેવી માંગણીને લઈ 26મી ફેબ્રુઆરીએ દેશના 1,500 સ્થળોએ ધરણાં યોજાશે. દેશના તમામ બજારો બંધ રહેશે અને તમામ રાજ્યોના વિવિધ શહેરોમાં વિરોધના ભાગરૂપે ધરણાં યોજવામાં આવશે. તમામ રાજ્ય સ્તરીય પરિવહન સંઘોએ ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા નવા ઈ-વે બિલના વિરોધમાં કૈટને સમર્થન આપ્યું છે. આ દરમિયાન ટ્રાન્સપોર્ટના તમામ કાર્યાલયોને સંપૂર્ણપણે બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. કોઈ પણ પ્રકારના માલનું બુકિંગ, ડિલિવરી, લોડિંગ અને અનલોડિંગ સંપૂર્ણપણે બંધ રહેશે. તમામ પરિવહન કંપનીઓને વિરોધ માટે સવારના 6થી સાંજના 8 વાગ્યા સુધી પોતાના વાહનો પાર્ક કરવા કહેવામાં આવ્યું છે.