નવી દિલ્હી : નોઇડાના સુપરટેક ટ્વીન ટાવરને જમીનદોસ્ત કરવા માટેની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. ટાવરને પાડવામાં હવે ત્રણ દિવસ બાકી છે, ત્યારે હવે પ્રશાસન અને પોલીસ સંપૂર્ણ રીતે તેના બંદોબસ્તમાં લાગી ગઈ છે. ટાવરને ધરાશાયી કરવા માટે તેમાં 3700 કિલો વિસ્ફોટક લગાવવામાં આવ્યો છે. વિસ્ફોટ કરતાંની સાથે જ અંદાજે 4 સેકન્ડમાં જ આખેઆખો ટાવર જમીનદોસ્ત થઈ જશે. આ સાથે જ તેના કાટમાળને સાયન્ટિફિક પ્રોસેસ માટે મોકલવામાં આવશે.એડિફિસ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ મેનેજર મયૂર મહેતાએ વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘અમારી તૈયારી પૂરી થઈ ગઈ છે. બંને ટાવરમાં 3700 કિલો વિસ્ફોટક લગાવી દેવામાં આવ્યો છે. આ વિસ્ફોટક મેન્યુઅલી જ લગાવવામાં આવ્યા છે. તેમનું કહેવું છે કે, વિસ્ફોટકમાં ઇગ્નિશન 7 સેકન્ડમાં જ શરૂ થશે અને 4 સેકન્ડમાં જ ટાવર જમીનદોસ્ત થઈ જશે.’ વધુમાં તેઓ જણાવે છે કે, વિસ્ફોટ નીચેથી ઉપરની તરફ થશે, એટલે કે પહેલા નીચેનો ભાગ પડશે અને ત્યારબાદ ઉપરનો ભાગ ધરાશાયી થશે. ત્યારબાદ કાટમાળને સાયન્ટિફિક રીતે પ્રોસેસ માટે મોકલવામાં આવશે. ટ્વીન ટાવર ધરાશાયી થતા અંદાજે 42 હજાર ક્યૂબિક મીટર જેટલો કાટમાળ નીકળશે. આ ઉપરાંત ટાવરની આસપાસ અને પાસેના રસ્તાઓ ઉપર પણ કાટમાળ પડશે. જેમાં 4000 ટન જેટલું લોખંડ નીકળશે. તેને વેચીને એડિફિસ નફો મેળશે. આ સાથે જ મળતી માહિતી પ્રમાણે, આ કાટમાળ ખસેડતા લગભગ 90 દિવસ લાગશે. આ ઉપરાંત કાટમાળ ખસેડવા માટે ટ્રક 1300 જેટલા આંટાફેરા પણ કરશે. એડિફિસ એન્જિનિયરિંગના પ્રોજેક્ટ મેનેજરે જણાવ્યું હતુ કે, વિસ્ફોટ લગાવવાનું કામ 13 ઓગસ્ટે શરૂ કરવામાં આવ્યું હતું. સિયાન ટાવરમાં વિસ્ફોટકો લગાવવાનું કામ 17 ઓગસ્ટે એટલે કે બુધવારે પૂરું કરવામાં આવ્યું હતું. સોમવારે સાંજે એપેક્સ ટાવરમાં વિસ્ફોટક લગાવવાનું કામ પૂરું કરવામાં આવ્યું હતું. બંને ટાવરમાં વિસ્ફોટક લગાવવાનું કામ 16 ટીમોએ કર્યું છે. હાલ તેમાં 960 ફ્લેટ છે.’ આ કામમાં 40થી વધુ લોકો જોડાયા હતા. આ સિવાય 17 વિશેષજ્ઞોની ટીમ હતી. તેમના ગાઇડન્સમાં આ કામ કરવામાં આવ્યું હતું. એપેક્સ ટાવરમાં 11 પ્રાઇમરી ફ્લોર અને સાત સેકન્ડરી ફ્લોર છે. બેઝમેન્ટમાં તમામ ફ્લોર પર અને બીજા બેઝમેન્ટના 60 ટકા થાંભલામાં વિસ્ફોટક લગાવી દેવામાં આવ્યા છે. સુપરટેકના બંને ટાવરોને ધ્વસ્ત કરતાં પહેલાં આસપાસના 7000 લોકોએ તેમનું ઘર છોડવું પડ્યું છે. તેને ઇવેક્યૂવેશન પ્લાનમાં સામેલ કરવામાં આવ્યું છે. એડિફિસ એન્જિનિયરિંગ અને પોલીસ પ્રશાસનનું કહેવું છે કે, બ્લાસ્ટના દિવસે આ તમામ લોકોને 100 મીટર રેડિયસ જેટલા અંતરે બહાર કરવાનું કામ બહુ મુશ્કેલ છે. ટાવરમાં બ્લાસ્ટ કરતા પહેલાં સુપરટેક ઇમરાલ્ડના 14 ટાવરોમાં 660 ફ્લેટ અને એટીએસમાં 736 ફ્લેટ છે. આ ફ્લેટમાં સામાન છોડીને લોકોએ થોડા સમય માટે અહીંથી જવું પડશે. 100 મીટરની રેડિયસમાં બેઝમેન્ટ અને સરફેસ પાર્કિંગ ખાલી રહેશે. પાર્કિંગની ગાડીઓને અન્ય જગ્યાએ પાર્ક કરવામાં આવશે.28 ઓગસ્ટે બંને ટાવરને ધરાશાયી કરવાના દિવસે ટાવરની આસપાસ 500થી વધુ પોલીસકર્મીઓ બંદોબસ્તમાં હશે. આ સિવાય 150 ટ્રાફિક પોલીસ કર્મીઓની માગ છે, જેથી ડાયવર્ટ કરેલા સહિત અન્ય રૂટ પર નજર રાખી શકાય. વિસ્ફોટવાળા દિવસે નોઇડા એક્સપ્રેસ-વેનો 30 મિનિટ માટે બંધ કરવામાં આવશે.બ્રિટનની કંપનીએ આ મામલે સરવે કર્યો છે. જેમાં વિસ્ફોટ પછી 10 મીટર સુધી જમીનમાં કંપન થશે. 22 મિમી (મિલીમીટર પ્રતિ સેકન્ડ)થી 34 મિમી પ્રતિ સેકન્ડ સુધી ધ્રુજારી થશે. આમ જ 20 મીટર સુધી 16થી 24 મિમી સુધી ધ્રુજારી થશે. વધુમાં વધુ 100 મીટરના અંતર સુધી 3 મિમીથી 5 મિમી સુધી ધ્રુજારી થવાની સંભાવના છે. તેની આસપાસ બનેલી બિલ્ડિંગ્સ રિક્ટર સ્કેલ પર 5ની તીવ્રતા સુધીનો ઝાટકો ઝીલી શકશે.ટાવરોને ધરાશાયી કરવા માટે બે બ્લાસ્ટ થશે. પ્રાઇમરી અને સેકન્ડરી બ્લાસ્ટ. પ્રાઇમરી બ્લાસ્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર, પહેલા, બીજા, છઠ્ઠા, દસમા, ચૌદમા, બાવીસમા, છવ્વીસમા અને ત્રીસમા માળે વિસ્ફોટ કરવામાં આવશે. આ વિસ્ફોટની સિક્વન્સ 0થી 0.7 સેકન્ડ સુધી હશે. આ રીતે સેકન્ડરી બ્લાસ્ટમાં 0થી 3.5 સેકન્ડ સુધી થશે. આ પ્રકારના બ્લાસ્ટને ઇંપ્લોજન ટેક્નિક કહેવામાં આવે છે. જેને કન્ટ્રોલ્ડ બ્લાસ્ટ પણ કહેવાય છે.નોઇડાના સુપરટેક એમેરાલ્ડની 40 માળની બે બિલ્ડિંગ્સને ત્રણ મહિનામાં જમીનદોસ્ત કરવાનો આદેશ આપ્યો છે. આ બંને બિલ્ડિંગ્સ નોઇડા એક્સપ્રેસ વેની પાસે બનેલી છે. બંનેમાં એક-એક હજાર ફ્લેટ્સ છે. સુપ્રીમ કોર્ટે આ મામલે કહ્યુ છે કે, ‘જ્યારે નકશો પાસ કરવામાં આવ્યો હતો, ત્યારે બંને ટાવરોની ઓથોરિટી પાસેથી મંજૂરી લેવામાં આવી નહોતી અને નિયમોનું ઉલ્લંઘન કરીને આ ટાવર બનાવવામાં આવ્યા છે.