બોટાદ : રાજ્યમાં ફરીથી લઠ્ઠાકાંડને કારણે લોકોએ જીવ ખોવાનો વારો આવ્યો છે. બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 27 સુધી પહોંચી ગયો છે. જ્યારે 40 જેટલા લોકો સારવાર હેઠળ છે. હજી મૃતઆંકનો વધી શકે તેવી આશંકા સેવાઇ રહી છે. આ લઠ્ઠાકાંડ સામે આવ્યા બાદ વહીવટી તંત્ર એક્શનમાં આવી ગયું છે અને DySpની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી છે.જ્યારે ATS પણ આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ કરશે. હાલ આ કેસમાં મુખ્ય આરોપી જયેશ ખાવડિયાની ધરપકડ કરી લેવામાં આવી છે. આ આરોપીની ક્રાઇમ બ્રાંચે પીપળજથી ધરપકડ કરી લીધી છે. આ આરોપીએ 600 લિટર કેમિકલ આપ્યું હતુ. મુખ્ય આરોપી જયેશ ખાવડિયાની માતા કુસુમ ખાવડિયા સાથે વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, તેમના પતિ રમેશભાઇ તથા બે દીકરા જયેશ અને જીતેશ સાથે આ ગોડાઉનમાં રહે છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, તેઓ, તેમના પતિ અને મોટો દીકરો જયેશ આ ગોડાઉનમાં કામ કરતા હતા. જ્યારે નાનો દીકરો જીતેશ માલ સામાનની હેરફેર કરવા ટેમ્પો ચલાવવાનું કામ કરતા હતા. આ લઠ્ઠાકાંડ અંગે તેમને કાંઇ જ ખબર નથી. જયેશ અહીંથી ગઇકાલ રાત સાત કે આઠ વાગ્યાથી ગાયબ છે. જ્યારે પોલીસ તેમના પતિ રમેશભાઇ અને નાના દીકરા જીતેશને તેમના ઘરેથી લઇ ગઇ હતી.