નવી દિલ્હી : આજે દેશભરમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. 26 જુલાઈના રોજ ભારતીય સૈનિકોએ યુદ્ધમાં પાકિસ્તાનને હરાવ્યું હતુ. આ યુદ્ધ લગભગ 60 દિવસ સુધી ચાલ્યું હતુ. વર્ષ 1999માં પાકિસ્તાની આતંકવાદીઓ અને સૈનિકો કારગીલની પહાડીઓમાં ઘૂસી આવ્યા હતા, ત્યારબાદ ભારતીય સેનાએ તેમની સામે ‘ઓપરેશન વિજય’ શરૂ કર્યું હતું. આજના દિવસે જ ભારતને જીત મળી હતી. જો કે, આ યુદ્ધમાં ભારતે 500થી વધું જવાનો ગુમાવ્યા હતા. આ બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે, 26 જુલાઈએ દેશના અલગ-અલગ સ્થળોએ ઘણા કાર્યક્રમો યોજાય છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ વિજય દિવસ પર શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે કારગિલ વિજય દિવસ એ મા ભારતીના ગૌરવનું પ્રતિક છે. આ પ્રસંગે હું માતૃભૂમિની રક્ષા કરતા દેશના તમામ બહાદુર જવાનોને શત શત નમન કરું છું. જય હિન્દ!દિલ્હીમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે કારગિલ વિજય દિવસ પર પર 1999નાં કારગિલ યુદ્ધમાં પોતાના પ્રાણનું બલિદાન આપનારા જવાનોને શ્રધ્ધાંજલિ આપી હતી.ત્રણેય સેના પ્રમુખો – આર્મી ચીફ જનરલ મનોજ પાંડે, નૌસેના વડા એડમિરલ આર હરિ કુમાર અને એરફોર્સનાં વડા ચીફ માર્શલ વીઆર ચૌધરીએ કારગિલ વિજય દિવસ પર દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.