અમદાવાદ:
છેલ્લાં કેટલાંક સમયથી કેન્દ્ર સરકાર અને RBIના ગવર્નર ઉર્જિત પટેલ વચ્ચે ચાલી રહેલી મડાગાંઠ અંગેના સમાચારો વચ્ચે સોમવારે સાંજે પદ પરથી રાજીનામું ધરી દીધું હતું. જો કે તેમણે આ પાછળ વ્યક્તિગત કારણોને જવાબદાર ગણાવ્યા હતા. ઉર્જિત પટેલે તત્કાળ રાજીનામું ધરી દેતા અનેક તર્ક વિતર્કો વહેતા થયાં છે. તેમનો તાત્કાલિક અસરથી પદ પરથી રાજીનામું ધરી દેતા વેપારજગતમાં ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યાં છે.
જો કે ઉર્જિત પટેલે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર પદે કાર્ય કરવાની તક મળી તે વિશે આત્મગોરવની લાગણી વ્યક્ત કરી હતી. આ ક્ષણે તેઓ તેમના સાથીઓનો આભાર માન્યો હતો અને આવનારા સમય માટે તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે રિઝર્વ બેંકના કર્મચારીઓનો સખત પરિશ્રમ અને સહકાર, તેમજ અધિકારીઓ અને સંચાલનને પરિણામે રિઝર્વ બેંકે તાજેતરના સમયમાં એક ઉદાહરણીય કામકાજ દર્શાવ્યા છે.
ઉર્જિત પટેલના પગલાંથી આરબીઆઇની શાખ પર અસર પડશે, કારણ કે સરકાર પાસે એક પ્રકારે કેન્દ્રીય બેંક પર પુરો કાબુ હતો. બે વર્ષમાં આમ બીજી વખત આવું બન્યું છે જ્યારે આરબીઆઇ ગર્વનરે પદ છોડ્યું હોય. આ પહેલાં રઘુરામ રાજને જૂન 2016માં ગર્વનર પદ છોડવાની જાહેરાત કરી હતી. સપ્ટેમ્બર 2016માં તેમણે પદ છોડી દીધું હતું. લોકસભાની ચૂંટણી ટાણે માંડ પાંચ મહિના પણ નથી રહ્યા ત્યારે સરકાર પાસેથી મહત્વના લોકો ખસી રહ્યા હોવાનો સંકેત નરેન્દ્ર મોદી સરકાર માટે યોગ્ય માનવામાં આવી રહ્યો નથી.
વર્ષ 1990 બાદ પ્રથમવાર કોઇ ગવર્નર કાર્યકાળ પૂરો થયા પહેલાં રાજીનામું આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રઘુરામ રાજન અને કેન્દ્રની મોદી સરકાર વચ્ચેની સ્પષ્ટ ખાઈના પરિણામે રાજને પોતાનો કાર્યકાળ પૂરો થયો એ પછી સામેથી જ બીજી ટર્મ માટે ગર્વનર નહીં બનવાનું કહી દીધું હતું. નોટબંધી જેવા મહત્વના મુદ્દે રાજને મોદી સરકારને ઘસીને ઇનકાર કર્યો હોવાનું કહેવામાં આવે છે. ત્યારબાદ મોદી સરકારે ઉર્જિત પટેલને રિઝર્વ બેંકનો કાર્યકાળ સોંપ્યો હતો, પરંતુ સમય વીતતાં પટેલને પણ મોદી સરકારની નીતિઓ અનૂકૂળ આવી નહોતી.
ઉર્જિત પટેલ પોતાના નિવેદનમાં જાહેરાત કરી હતી કે, તેમણે પોતાના વ્યક્તિગત કારણોસર વર્તમાન પદેથી તાત્કાલિક ધોરણે રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું હતું કે, રિઝર્વ બેન્કના વિવિધ ક્ષેત્રોની જવાબદારી સાથે અહી કામ કરવાની તક મળી જે મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. ઉર્જિત પટેલનો કાર્યકાળ સપ્ટેમ્બર 2019માં સમાપ્ત થવાનો હતો.
ઉર્જિત પટેલ સપ્ટેમ્બર 2016માં રિઝર્વ બેન્કના 24માં ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમનો કાર્યકાળ 3 વર્ષનો હતો, આ પહેલા તેઓ કેન્દ્રીય બેન્કમાં ડેપ્યુટી ગવર્નર તરીક ફરજ બજાવી રહ્યા હતા.
તેમણે પોતાના રાજીનામામાં જણાવ્યું હતું કે, આરબીઆઇ સ્ટાફ, અધિકારીઓ અને મેનેજમેન્ટના સર્મથન અને સખત મહેનતથી બેન્કે વિતેલા વર્ષોમાં અનેક સિદ્ધિઓ મેળવી હતી. તેમણે સમગ્ર અધિકારીઓ અને સ્ટાફને આગામી સમય માટે શુભકામનાઓ પાઠવી હતી.
ઉલ્લેખનીય બાબત છે કે, આરબીઆઇ ગવર્નરે એવા સમયે રાજીનામુ આપ્યું છે, જેના એક દિવસ પછી સાંસદનું શીતકાલીન સત્ર શરૂ થવાનું હતું. હાલમાં વિપક્ષ રાફેલ, બેરોજગારી, ખેડૂત સહિત કેટલાક મામલાઓને લઇને કેન્દ્ર સરકારને ઘેરવા પ્રયત્નો કરી રહ્યું છે, એવામાં આરબીઆઇ ગવર્નરે અચાનક આપેલા રાજીનામું સરકાર માટે ગંભીર સ્થિતિઓનું નિર્માણ કરી શકે એમ માનવામાં આવી રહ્યું છે.