રામમંદિરનું નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે
આગામી લોકસભા ચૂંટણીના અમુક મહિના અગાઉ તેને ખુલ્લું મૂકાશે
2024ની શરૂઆતમાં મંદિર ખુલ્લું મૂકાઈ શકે
રામ મંદિર લોકસભા ચૂંટણીના થોડા મહિના અગાઉ જ 2024ની શરૂઆતમાં ખોલવામાં આવનાર છે. ભાજપને આશા છે કે રામ મંદિરના ઉદ્ઘાટન બાદ તેને ચૂંટણીમાં તેનો ફાયદો મળશે અને ફરી એકવાર સત્તામાં વાપસી થશે. ભાજપ માટે રામમંદિરનું મહત્વ જોઈને પાર્ટીના ઘણા મોટા નેતાઓ આગામી મહિનાઓમાં અહીં મુલાકાત લઈ શકે છે. આ સાથે જ તેઓ રામ મંદિરના નિર્માણ અને તેના ઉદ્ઘાટનને ચૂંટણીના મુદ્દા તરીકે ઉઠાવવાનો પ્રયાસ કરી શકે છે. રામ મંદિરના નીચેના માળનું અડધાથી વધુ કામ થઈ ગયું છે. જ્યારે ગર્ભગૃહનું કામ આ વર્ષે ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.
પીએમ મોદીના હસ્તે રામલલ્લાની મૂર્તિ મૂળ સ્થાને સ્થાપિત કરાશે
ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી 2024ના ત્રીજા સપ્તાહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં નિર્માણાધીન મંદિરમાં ભગવાન રામલલ્લાની મૂર્તિને તેના મૂળ સ્થાને સ્થાપિત કરશે. રામ મંદિરના નિર્માણ અને સંચાલન માટે સ્થાપિત ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરી મહારાજે બુધવારે આ માહિતી આપી હતી. તેમણે એમ પણ જણાવ્યું કે મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.