પ્રશ્ન તે છે પાકિસ્તાનમાં હજી શેરી-રમખાણો શા માટે નથી થતાં ? અર્થતંત્ર ખાડે ગયું છે. પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડ થઈ અને પછી જામીન મળ્યા, ફરી ધરપકડ થઈ, વળી જામીન મળ્યા, દરમ્યાન તો સમગ્ર દેશમાં રમખાણોનો ચક્રવાત ફરી વળ્યો છે. સમગ્ર પાકિસ્તાનમાં લગભગ અરાજકતા વ્યાપી રહી છે. તે સાથે જીવન જરૂરિયાતના ભાવ આસમાને પહોંચતા જાય છે. સમગ્ર દેશમાં હિન્દુઓ ઉપર જોરજુલમ થાય છે. હિન્દુ છોકરીઓને ઉઠાવી જઈ પરાણે ધર્માતરિત કરી મુસ્લિમ યુવકો સાથે પરણવાની ફરજ પડાય છે. અસંખ્ય હિન્દુ મંદિરોનો વિનાશ થઈ રહ્યો છે.
તેવે સમયે કરાચીમાં લોટનો ભાવ ૩૨૦ રૂપિયે કિલો પહોંચી ગયો છે. તેમ પાકિસ્તાનનાં બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિકસે (પીબીએસ) જ જણાવે છે.
કરાચીમાં ૧ કિ.ગ્રા. લોટ ૩૨૦ રૂપિયે (પાકિસ્તાની રૂપિયો) મળે છે. હૈદરાબાદ (સિંધ)માં ૨૦ કિ.ગ્રા. લોટની ગુણીનો ભાવ ૩૦૪૦ રૂ. છે. ત્યાં ૧૪૦ રૂ.નો ભાવ વધારો જોવા મળ્યો છે.
ખાંડ પણ તેટલી જ મોંઘી થઈ ગઈ છે. એક તબક્કે ખાંડનો છૂટક ભાવ એક કિલો દીઠ રૂ. ૧૬૦ સુધી પહોંચી ગયો હતો. જે થોડો ઉતરી ૧૫૦ થયો ત્યાં વળી પાછો કિલો દીઠ ૧૬૦ પહોંચી ગયો છે.
પાકિસ્તાનનાં તમામ શહેરો પૈકી કરાચીની સ્થિતી તો સૌથી વધુ ખરાબ છે. ઈઆઇયુએ દર્શાવેલી ગ્લોબલ લિવેબિલીટી ઇન્ડેક્સ દ્વારા દુનિયામાં સૌથી ઓછાં રહેવા લાયક ૧૭૩ શહેરોની યાદી તૈયાર કરાઈ છે. તેમાં કરાચીનું સ્થાન ૧૬૯મું છે તે પછી નાઈજીરિયાનું લાગોસ, અલ્જિરિયાનું અલ્જિયર્સ, લિબિયાનું ટ્રિપોલી અને સીરીયાનું દમાસ્કસ અનુક્રમે આવેલા છે. આ અહેવાલ ધી ઇકોનોમિસ્ટર ગુ્રપનાં રિસર્ચ એનેલિસીસ ડીવીઝને તૈયાર કર્યો છે. આ એકમ રિસર્ચ અને એનેલિસીસ દ્વારા આર્થિક પરિસ્થિતિ અંગે આગાહી કરે છે. તેમજ તેમાંથી માર્ગ પણ સૂચવે છે. જોકે, પાકિસ્તાનની રાજકીય પરિસ્થિતિ તેવી છે કે રાજકર્તાઓને તે સાંભળી શકે તેમ નથી. સાંભળે તો તેનો અમલ કરી શકે તેમ નથી.