વૃક્ષ ઉગાડનારા એના ફળ ચાખી શકતા નથી, મકાન બાંધનારા એમાં રહેવા સમર્થ હોતા નથી અને ઘણાં બદનસીબ પોતે મહામહેનતે બાંધેલા માર્ગ પર ચાલી-દોડીને મંઝિલે પહોંચવાની તક મેળવતા નથી. બૉલીવૂડમાં આવું એક નામ એટલે રાજીવ ખંડેલવાલ. રાજીવની કારકિર્દીનું બારીકાઈથી નિરીક્ષણ કરીએ તો ખબર પડે કે પોતાના સમયમાં બિનપરંપરાગત રોલ અને ફિલ્મ કરવાની તેણે જીદ પકડી હતી. આમાં થોડી ઘણી સફળતા મેળવીને તેણે એક નવી કેડી કંડારી પણ પછી કંઈક અંશે એ ખોવાઈ ગયો. રાજીવે કંડારેલી કેડી આયુષમાન ખુરાનાને બહુ ફળી. આયુષમાનના સદ્ભાગ્યે પ્રેક્ષકોની રુચિ બદલાઈ રહી હતી અને યુવા પ્રેક્ષકો કંઈક હટકે માગતા હતા. ત્યારે એનું આગમન થયું. અલબત્ત, પ્રોજેક્ટની પસંદગીમાં તેણે દાખવેલી ચીવટના માર્ક્સ આપવા જ પડે.
રાજીવ ખંડેલવાલે ૧૯૯૮માં ‘બનફુલ’ નામની ટીવી સિરિયલથી પદાર્પણ કર્યું પણ એને ઓળખ મળી ૨૦૦૨ની ‘ક્યા હાદસા ક્યા હકીકત’થી. એકતા-શોભા કપૂરની આ સિરિયલની દિગ્દર્શક ટીમમાં અનુરાગ બાસુ ટોચ પર હતા. ત્યાર બાદ ૨૦૦૯ અને ૨૦૧૧માં ટૉક શૉ ‘સચ કા સામના’થી પણ રાજીવે ઘણી લોકપ્રિયતા રળી.૨૦૦૮માં ‘આમિર’ થકી રાજીવે બૉલીવૂડમાં ડેબ્યુ કર્યું. રાજકુમાર ગુપ્તા દિગ્દર્શિત આ ફિલ્મે -કથાનક માવજત અને રાજીવના અભિનયથી પ્રેક્ષકોના દિલ જીતી લીધા. ત્યાર બાદ ‘શૈતાન’, ‘સાઉન્ડટ્રેક’, ‘વીલ યુ મેરી મી?’, ‘ટેબલ નં. ૨૧’ (રસપ્રદ વિષય), ‘પીટર ગયા કામ સે’ (હજી રિલીઝ થવાની બાકી), ‘સમ્રાટ ઍન્ડ કંપની’, ‘ફિવર’, ‘ડીઓએ: ડેથ ઑફ અમર’, ‘સૉલ્ટ બ્રીજ’ અને ‘પ્રણામ’ જેવી ફિલ્મો કરી. આ બધી ઓછા બજેટની ફિલ્મો હતી, જેને મોટેપાયે રિલીઝ કરવાનું નિર્માતા કે વિતરકને ન પરવડે. એટલે રાજીવના ઘણાં સારા પર્ફોર્મન્સ પ્રેક્ષકો સુધી પહોંચ્યા જ નહીં. ‘આમિર’થી જાગેલી આશા મહદ્ અંશે પૂરી ન થઈ. કદાચ ઓ.ટી.ટી. પ્લેટફોર્મ ન આવ્યા હોત તો રાજીવ ખંડેલવાલની કારકિર્દીનું ફિંડળું પણ વળી ગયું હોત, પરંતુ ઘેરબેઠા મનોરંજનના આ માધ્યમમાં રાજીવને નિયમિતપણે પોતાના કૌવત-કસબ બનાવવાનો મોકો મળે છે.‘અતીત’, ‘કોર્ટ માર્શલ’, ‘હક સે’, ‘કોલ્ડ લસ્સી ઍન્ડ ચિકન મસાલા’, ‘મરજી અને ‘નક્સલબારી’ જેવી વેબ મુવી-શૉને લીધે રાજીવ ખંડેલવાલ ફરી દેખાવા માંડ્યો છે.