દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે વિધાનસભામાં ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસે દેશમાં ૭૫ વર્ષ લૂંટ ચલાવી તેના કરતાં ભાજપે સાત વર્ષમાં દેશને વધુ લૂંટયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અદાણીના મુદ્દે આક્રમણ કરતા જણાવ્યું છે કે જો હિન્ડનબર્ગના આરોપોના મુદ્દે જો ઇડી અને સીબીઆઇ અદાણીની તપાસ કરે તો પીએમ મોદી પડશે, અદાણી નહી. વડાપ્રધાન શા માટે પોતાના પરમ મિત્ર સાથે આટલા કૃપાળુ છે. તેઓ અદાણીને બચાવવા માટે બધું જ કરી છૂટયા છે.
કેજરીવાલે કહ્યું હતું કે પીએમ મોદીએ શ્રીલંકાને અદાણીને ૪૪.૨ કરોડ ડોલરનો પાવર પ્રોજેક્ટ આપવામાં આવે તે માટે દબાણ કર્યુ હતુ.
જયારે રાજપક્ષે શ્રીલંકન સરકારને સંસદમાં આ અંગે પૂછ્યું તો જવાબ મળ્યો કે આ પ્રોજેક્ટ દબાણ હેઠળ આપવામાં આવ્યો છે.
તેમણે વધુમાં દાવો કર્યો કે જ્યારે બે વર્ષ પહેલા એરપોર્ટનું ખાનગીકરણ કરવામાં આવ્યું ત્યારે હરાજીની કેટલીક શરતો છેલ્લી મિનિટે દૂર કરવામાં આવી અને અદાણી જૂથને છ એરપોર્ટ આપી દેવામાં આવ્યા.
કેજરીવાલે દિલ્હી વિધાનસભામાં જણાવ્યું હતું કે કોંગ્રેસે જેટલી લૂંટ ૭૫ વર્ષમાં ચલાવી નથી તેટલી લૂંટ ભાજપે સાત વર્ષમાં કરી છે. દેશ અત્યંત મુશ્કેલ સ્થિતિમાં પસાર થઈ રહ્યો છે.
કેજરીવાલે જણાવ્યું હતું કે પીએમ ઓછું ભણેલા છે અને તેઓ વસ્તુને યોગ્ય રીતે સમજતા નથી. આ બાબત ખરેખર ચિંતાજનક છે.
આપના પ્રભુત્વવાળી દિલ્હી વિધાનસભાએ ઠરાવ પસાર કર્યો હતો કે સંસદ અદાણીના મુદ્દે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (જેપીસી) રચે. આમ કેજરીવાલે દિલ્હી વિધાનસભા સત્રને રીતસરનું પીએમ મોદી વિરુદ્ધનું સત્ર બનાવી દીધુ હતુ.
તેના લીધે દિલ્હી વિધાનસભા અધ્યક્ષે પણ ટકોર કરવી પડવી હતી કે પીએમ પર આરોપો કરવાના બદલે દિલ્હી અંગે ચર્ચા કરવામાં આવે. દિલ્હીના ભવિષ્ય અને તેના આયોજન પર ચર્ચા કરવામાં આવે. બીજું બધું અહીં અપ્રસ્તુત છે.