છેલ્લા 24 કલાકમાં કોવિડથી મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા 346 છે. કોવિડને કારણે દેશમાં અત્યાર સુધીમાં 509,011 લોકોએ જીવ ગુમાવ્યા છે.
નવી દિલ્હી: Covid-19 India Updates: ભારતમાં, સોમવાર એટલે આજે 14 ફેબ્રુઆરી, 2022ની (Todays Corona cases) સવારે, છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા કોવિડ -19 કેસોમાં 24 ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 34,113 નવા કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, રવિવારે સવારે કોવિડના કુલ કેસ 11 ટકાના ઘટાડા સાથે 44,877 નોંધાયા હતા. જો આપણે આજના કોવિડના આંકડાઓ પર નજર કરીએ તો, સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, કોવિડના તાજેતરના કેસો બાદ દેશમાં કોરોના સંક્રમણના કુલ કેસોની સંખ્યા વધીને 42,665,534 થઈ ગઈ છે દેશમાં સક્રિય કેસોની સંખ્યા 478,882 છે. સક્રિય કેસ દર 1.12 ટકા છે. આ સાથે રિકવરી રેટ 97.68 પર પહોંચ્યો છે અને મૃત્યુ દર 1.19 ટકા છે.છેલ્લા 24 કલાકમાં કોવિડથી મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા 346 છે. કોવિડને કારણે દેશમાં અત્યાર સુધીમાં 509,011 લોકોએ જીવ ગુમાવ્યા છે. છેલ્લા 24 કલાકમાં, 91,930 કોરોના ચેપમાંથી સ્વસ્થ થયા છે અને આ રીતે કોવિડમાંથી સાજા થનારા દર્દીઓની કુલ સંખ્યા 41,677,641 થઈ ગઈ છે. સોમવારથી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવનારા વિદેશી પ્રવાસીઓએ દેશમાં કોરોનાના ઘટતા કેસો વચ્ચે સાત દિવસ માટે ફરજિયાત ક્વોરેન્ટાઈનના નિયમનું પાલન કરવાની જરૂર રહેશે નહીં. કારણ કે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની નવી કોવિડ-19 માર્ગદર્શિકા સોમવારથી અમલી થશે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) એ આરોગ્ય અધિકારીઓ અને જિલ્લા મેજિસ્ટ્રેટને કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલ સુધારેલી કોવિડ-19 દિશાનિર્દેશોનું ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પાલન કરવામાં આવે તે સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે.ભારત સાથે અમેરિકામાં પણ કોરોનાના નવા કેસોમાં ઘટાડો નોંધાયો છે. રવિવારે અમેરિકામાં 59579 કેસ નોંધાયા હતા, જે છેલ્લા બે મહિનાના સમયમાં સૌથી ઓછા દૈનિક કેસ છે. આ સાથે અમેરિકામાં કોરોનાના કુલ કેસ 79293934 થયા છે. અમેરિકામાં કોરોના મહામારીએ સૌથી વધુ કેર મચાવ્યો છે. અમેરિકામાં કોરોનાના દૈનિક કેસ ઘટતાં સરકારે નિયંત્રણો પણ ઓછા કર્યા છે. વ્હાઈટ હાઉસે જણાવ્યું હતું કે, દેશમાં મોટા ઔદ્યોગિક જૂથો માટે રસી અથવા ટેસ્ટની જરૃરિયાતો પૂરી કરવાના બાઈડેન તંત્રના પ્રયાસો પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂક્યા પછી હવે કંપનીઓએ પોતે જ તેમના કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત છે કે નહીં તેની તપાસ કરાવવાની રહેશે.