અમદાવાદ : રાજ્યભરમાં કોરોનાના કેસમાં તીવ્ર ઘટાડો થતાં અમદાવાદનાં મુખ્ય મંદિરો સહિત રાજ્યના મોટા મંદિરોને મળતાં દાનમાં 20 દિવસથી એક મહિનામાં પાંચથી દસ ગણો વધારો થયો છે. નગરદેવી ભદ્રકાળી મંદિર, ઈસ્કોન મંદિર, મણિનગર ગાદીસંસ્થાન, સ્મૃતિ મંદિર ઘોડાસર, કુમકુમ સ્વામિનારાયણ મંદિરને મળતા દાનમાં અનેકગણો વધારો જોવા મળ્યો છે.કોરોનાની ત્રીજી લહેરના લગભગ 25થી 30 દિવસ દરમિયાન ભદ્રકાળી મંદિરને માંડ 25 હજાર દાન મળ્યું હતું. જો કે, પરિસ્થિતિ સુધરતા મહિને સરેરાશ અઢી લાખ દાનની અગાઉની સપાટી આવી ગઈ છે. અર્થાત્ કોરોના ઓસરતાં દાનમાં 25 દિવસમાં 10 ગણો વધારો જોવા મળ્યો છે. ઈસ્કોન મંદિરને પણ કોરોનાના 25થી 30 દિવસના ગાળામાં માંડ 25 હજાર દાન મળ્યું હતું પણ છેલ્લા 20થી 25 દિવસમાં દાનની કુલ રકમ વધીને દોઢ લાખ થતાં લગભગ 6 ગણો વધારો થયો છે. વડતાલ સ્વામિનારાયણ મંદિર, સાળંગપુર હનુમાન મંદિરને કોરોના પૂર્વેના સમયમાં દર મહિને 65 લાખ દાન મળતું હતું. પરંતુ કોરોના દરમિયાન તે ઘટીને 15 લાખ થઈ ગયું હતું. જો કે, હાલ દાનની આ રકમ 55 લાખે પહોંચી છે. શહેર અને રાજ્યના મોટાં મંદિરોને મળતું દાન કોરોના પૂર્વેની સપાટીએ આવી ગયું છે.નગરદેવીના મંદિરને કોરોનાકાળ દરમિયાન મહિને માત્ર 25થી 30 હજાર દાન મળ્યું હતું. કોરોના પૂર્વેના સામાન્ય દિવસોમાં મહિને સરેરાશ 5 લાખ દાન મળતું હતું. જો કે, કેસ ઘટતાં પરિસ્થિતિ સુધરી છે અને અત્યારે દાનની રકમ લગભગ અઢી લાખે પહોંચી ગઈ છે. – શ્રીકાંત તિવારી, ટ્રસ્ટી ભદ્રકાળી મંદિરવડતાલ સંપ્રદાયની સૌથી મોટા સાળંગપુર મંદિરના મહંત ડો. સંત સ્વામીના જણાવ્યા અનુસાર, મંદિરને મળતાં દાનમાં છેલ્લા 2 મહિનામાં ઘટાડો થયો હતો. મંદિરને સામાન્ય દિવસોમાં દર મહિને મળતા દાનની સરખામણીએ માંડ 32 ટકા દાન મળ્યું હતું. જો કે, કેસ ઘટવા સાથે છેલ્લા એક મહિનામાં દાનની રકમમાં વધારો થયો છે અને કોરોના પૂર્વેની સપાટીએ પહોંચી ગયું છે. હાલ મંદિરમાં દર્શન કરવા આવતાં ભક્તોની સંખ્યામાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે અને હવેના દિવસોમાં પણ તે ચાલુ રહેશે.