જૂનાગઢ : જૂનાગઢના ભવનાથ ખાતે 25 ફેબ્રુઆરીથી લઇને 1 માર્ચ સુધી મહાશિવરાત્રીનો મેળો યોજાવાનો છે. આ મેળામાં લાખ્ખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોય છે. ત્યારે આવનાર ભાવિકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એલ.બી. બાંભણીયાએ કેટલાક પ્રવેશબંધીના આદેશો જારી કર્યા છે. ખાસ કરીને 25 ફેબ્રુઆરીથી લઇને 1 માર્ચ સવારના 10 સુધી ભરડાવાવ – ગિરનાર દરવાજાથી ભવનાથ તરફ જવા માટે પેસેન્જર રીક્ષા, સીટી બસ, એસટી બસ સિવાયના તમામ વાહનો માટે પ્રવેશબંધી રહેશે. આમાં અન્નક્ષેત્ર, ઉતાર મંડળો, ધાર્મિક સ્થાનોના વાહનો, મેળાની કામગીરી સાથે સંકળાયેલા વાહનો, પોલીસ દ્વારા મંજૂરી આપેલા વાહનો પાસ સાથે પ્રવેશ કરી શકશે. જ્યારે 1 માર્ચના મહા શિવરાત્રી હોય સવારના 10 વાગ્યાથી 2 માર્ચ સવારના 10 સુધી ભરડાવાવથી તમામ પ્રકારના વાહનોને ભવનાથ તળેટી જવા માટે પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે આ ઉપરાંત પણ અનેક પ્રકારના પ્રવેશ બંધીના, પાર્કિંગના, નો પાર્કિંગના વગેરે આદેશો જારી કરાયા છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુનો નોંધવા પોલીસ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવ્યા છે મહાવદ નોમથી મહા શિવરાત્રીનો મેળો યોજાવાનો હોય ત્યારે લાખ્ખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડવાના છે. ત્યારે ખાસ કરીને દામોદર કુંડ પાસે ટ્રાફિક જામ થવાની સંભાવના રહે છે. આ વાતને ધ્યાને લઇ જૂનાગઢ મહાનગરપાલિકાના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર મુકેશભાઇ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, કમિશ્નર રાજેશ તન્નાની સુચનાથી દામોદર કુંડ સામેના રસ્તાનું કામ યુદ્ધના ધોરણે હાથ ધરાયું છે. હાલ કારીગરોની ટીમ સતત કામ કરી રહી છે જેથી મહા શિવરાત્રી મેળા પહેલા જ આ રસ્તો ખુલ્લો મુકી શકાય અને સંભવિત ટ્રાફિક જામની સમસ્યા નિવારી શકાયભવનાથમાં 2 વર્ષ બાદ મહા શિવરાત્રીનો મેળો યોજાવા જઇ રહ્યો છે. ત્યારે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા મેળાને લઇ જોરદાર તૈયારી કરી દેવાઇ છે. બીજી તરફ બાળકોથી લઇને વડિલો માટેના પ્રિય એવા ફજત ફાળકા સહિતની વિવિધ રાઇડ્સોની પણ તૈયારી થઇ રહી છે.પરિણામે ભજન, ભોજન અને ભક્તિનો ગણાતો આ મેળો આનંદ દાયક અને મનોરંજક પણ બની રહેશે.મહા શિવરાત્રી મેળા દરમિયાન યાત્રાળુઓને ગિરનાર ઉપર અંબાજી મંદિર સુધી જવા માટે ગિરનાર પગથિયાથી મુખ્ય સીડી ઉપર જઇ શકશે જ્યારે પરત ઉતરવા માટે આ સીડી બંધ રહેશે.ગિરનાર પર્વત પરથી ઉતરવા માટે ગૌમુખી ગંગાની જગ્યાથી ભરતવન શૈષાવનના રસ્તે થઇ જતી સીડી ઉતરવા માટે ખુલ્લી મુકાશે. જોકે, આ સીડી પરથી ગિરનાર પર્વત પર જઇ શકાશે નહિ