નવી દિલ્હી: સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ ગયું છે. પહેલા જ દિવસે મોટો હંગામો મચે તેવા અંધાણ છે. કૃષિ કાયદાને લઈને સરકાર જરૂર ઢીલી પડી છે પરંતુ હવે વિપક્ષ સદનમાં એમએસપીનો મુદ્દો ઉઠાવવા જઈ રહ્યો છે. આ ઉપરાંત કોરાના મૃતકોને વળતર અને મોંઘવારી મુદ્દે પણ સરકારને ઘેરવાની તૈયારી છે. શિયાળુ સત્ર શરૂ થાય તે પહેલા પીએમ મોદીએ સંબોધન કર્યું. સરકાર સંસદના શિયાળુ સત્ર દરમિયાન રાજ્યસભામાં 20 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રજુ કરી શકે છે. જેમણે ચોમાસુ સત્ર દરમિયાન હંગામો કર્યો હતો. સરકારે રાજ્યભાના સભાપતિ એમ વેકૈયા નાયડુને વિપક્ષના સાંસદો વિરુદ્ધ કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ સાંસદોએ ચોમાસુ સત્ર દરમિયાન ખુબ હોબાળો કર્યો હતો. મંત્રીઓને કામ કરતા રોક્યા હતા અને કેટલાક સાંસદો ટેબલ પર ચડી ગયા હતા. જેમાં કોંગ્રેસના સૈય્યદ નાસિર હુસેન, રિપુન બોરા, પ્રતાપ સિંહ બાજવા, ફૂલોદેવી નેતામ, છાયા વર્મા, અખિલેશ પ્રસાદ સિંહ, દીપેન્દ્ર હૂડ્ડા, અને રાજમણી પટેલ, ટીએમસીના ડોલા સેન, શાંતા છેત્રી, મૌસમ નૂર, અબીર રંજન બિસ્વાસ, અને અર્પતા ઘોષ, શિવસેનાના પ્રિયંકા ચતુર્વેદી અને અનિલ દેસાઈ, ડાબેરી પક્ષોમાંથી એલમરમ કરીમ અને આપના સંજય સિંહ સામેલ11 વાગ્યાના ટકોરે નીચલા ગૃહ લોકસભા અને ઉપલા ગૃહ રાજ્યસભાની શિયાળુ સત્રની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે.શિયાળુ સત્રની શરૂઆત પહેલા પીએમ મોદીએ પણ મીડિયાને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે સંસદનું આ સત્ર ખુબ મહત્વપૂર્ણ છે. દેશ આઝાદીનો અમૃત મહોસ્તવ મનાવી રહ્યો છે. હિન્દુસ્તાનમાં ચારેય દિશાઓમાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિત રચનાત્મક, સકારાત્મક, જનહિત, રાષ્ટ્રહિત માટે, સામાન્ય નાગરિક અનેક કાર્યક્રમો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આઝાદીના દીવાનાઓએ જે સપના જોયા હતા તે સપનાને પૂરા કરવા માટે દેશના સામાન્ય નાગરિકો પણ કોઈને કોઈ જવાબદારી નિભાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તે ઉજ્વળ ભવિષ્ય માટે શુભ સંકેત છેપીએમ મોદીએ કહ્યું કે બંધારણ દિવસ ઉપર પણ નવા સંકલ્પની સાથે બંધારણની સ્પિરિટને ચરિતાર્થ કરવા માટે દરેકની જવાબદારીના સંબંધમાં સમગ્ર દેશે એક સંકલ્પ લીધો છે. દેશ પણ ઈચ્છશે કે ભારતની સંસદનું આ સત્ર અને આવનારા તમામ સત્ર આઝાદીના દિવાનાઓની ભાવનાઓને અનુકૂળ દેશહિતમાં ચર્ચાઓ કરે. ભવિષ્યમાં સંસદને કેવી રીતે ચલાવી, કેટલું સારું યોગદાન આપ્યું, કેટલું સકારાત્મક કામ થયું, તેના ત્રાજવે તોલવામાં આવે. એવો માપદંડ ન હોવો જોઈએ કે કોણે કેટલું જોર લગાવીને સત્ર રોક્યું. સરકાર દરેક વિષય પર ખુલીને ચર્ચા કરવા માટે તૈયાર છે. અમે પણ એ ઈચ્છીએ છીએ કે સંસદમાં સવાલ પણ થાય અને શાંતિ પણ હોય. સરકાર દરેક સવાલના જવાબ આપવા માટે તૈયાર છે.