ગાંધીનગર : જમ્મુ-કાશ્મીર સબ ઈન્સ્પેક્ટરની ભરતીમાં કથિત અનિયમિતતાઓને લઈને CBIએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. CBIની ટીમે ગુજરાતના ગાંધીનગર સહિત દેશભરમાં 33 સ્થળોએ દરોડા પાડ્યા છે. ગુજરાત ઉપરાંત ઉત્તર પ્રદેશ, દિલ્હી, કર્ણાટક અને હરિયાણામાં પણ CBI ત્રાટક્યું છે. અનેક મોટા માથાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. CBIનું સર્ચ ઓપરેશન આજે એટલે કે, મંગળવારે જમ્મુ-કાશ્મીર એસએસબીના પૂર્વ અધ્યક્ષ ખાલિદ જહાંગીરના પરિસર સહિત 33 સ્થળોએ ચાલી રહ્યું છે. અધિકારીએ કહ્યું કે, જમ્મુ અને કાશ્મીર સર્વિસિસ સિલેક્શન બોર્ડ (JKSSB)ના પરીક્ષા નિયંત્રક અશોક કુમારના પરિસરનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે. CBIના આ દરોડા રાજધાની દિલ્હી સહિત દેશભરમાં 33 સ્થળો પર પાડવામાં આવ્યા છે. એજન્સીએ જમ્મુ, શ્રીનગર, હરિયાણાના કરનાલ, મહેન્દ્રગઢ, રેવાડી, ગુજરાતના ગાંધીનગર, દિલ્હી, ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ અને કર્ણાટકના બેંગ્લોરમાં દરોડા પાડ્યા છે. જો અધિકારીનું માનીએ તો CBI દ્વારા કથિત ગેરરીતિઓની તપાસના સંદર્ભમાં દરોડાનો આ બીજો રાઉન્ડ છે. એજન્સીએ જણાવ્યું કે, CBIએ જમ્મુ-કાશ્મીર પોલીસમાં SIના પદ માટે 27-03-2022ના રોજ જમ્મુ અને કાશ્મીર JKSSB દ્વારા આયોજિત લેખિત પરીક્ષામાં અનિયમિતતાઓના આરોપમાં 33 આરોપીઓ વિરુદ્ધ જમ્મુ-કાશ્મીર તંત્રના અનુરોધ પર કેસ દાખલ કર્યો હતો. જમ્મુ અને કાશ્મીર વહીવટી તંત્રએ ગયા મહિને અનિયમિતતાની ફરિયાદોને પગલે જમ્મુ અને કાશ્મીર પોલીસમાં સબ-ઈન્સ્પેક્ટર (SI)ની ભરતી રદ કરી હતી અને પસંદગી પ્રક્રિયાની તપાસ CBIને સોંપી હતી.