નીતિન પટેલના આશિર્વાદ લેવા માટે ભૂપેન્દ્ર પટેલ તેમના ઘરે પહોંચ્યા હતાં
રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયેલા ભૂપેન્દ્ર પટેલે આજે સાંજે રાજભવન જઈ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે રાજ્યમાં તેમના નેતૃત્વની નવી સરકારની રચના માટેનો દાવો કરતો પત્ર સુપરત કર્યો હતો. ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકેની શપથવિધિ આજે બપોરે 2.20 વાગ્યે રાજભવન ખાતે યોજાશે. ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીપદના શપથ લેવા જતા પહેલાં ઘરે ભગવાનની પૂજા કરી હતી. પૂજા કર્યા બાદ તેઓ સીધા જ થલતેજ ખાતેના સાંઈ બાબાના મંદિરમાં દર્શન કરીને સુરધારા સર્કલ પાસે નીતિન પટેલના ઘરે તેમના આશિર્વાદ લેવા માટે પહોંચ્યા હતાં. હવે તેઓ મેમનગર ખાતેના સ્વામિનારાયણ મંદિરમાં દર્શનાર્થે પહોંચ્યાં હતાં. જ્યાં તેમણે ગાયની પૂજા કરી હતી.
નીતિન પટેલે કહ્યું હતું કે, હું ભુપેન્દ્ર પટેલની સાથે છું, તેઓ મારા જુના અને નજીકના મિત્ર છે.સામાજિક રીતે પણ અમે નજીક છીએ. તેમને જરૂર પડશે ત્યારે ચોક્કસ માર્ગદર્શન આપીશ. આજના શપથગ્રહણ સમારંભમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સહિત, કર્ણાટક, ગોવા અને આસામના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે. શપથવિધી બાદ મહત્વની બેઠક મળશે જેમાં મંત્રીમંડળને લઈને ચર્ચાઓ કરાશે.રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કર્યા બાદ તેઓ અડાલજ સ્થિતિ દાદા ભગવાનના મંદિર પહોંચ્યા હતા અને દર્શન કર્યા હતા. આ અગાઉ નવા મુખ્યમંત્રી બનેલા ભૂપેન્દ્ર પટેલ કમલમથી જ સરકારી ગાડીમાં બેસી અને રાજભવન પહોંચ્યા હતા. ગાડીમાં આગળ ભૂપેન્દ્ર પટેલ પાછળ સીઆર પાટીલ બેઠા હતા. કમલમથી જ નવા મુખ્યમંત્રીને સરકારી ગાડીનો કાફલો મળી ગયો હતો. આ પ્રસંગે રૂપાણી ઉપરાંત પાટીલ, કેન્દ્રીય નિરીક્ષકો ભૂપેન્દ્ર યાદવ, નરેન્દ્રસિંહ તોમર, પ્રહલાદ જોશી તેમજ ભાજપના પ્રદેશ અગ્રણીઓ, સાંસદો વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.