અમદાવાદ: વિશ્ર્વ વિખ્યાત વીરપુરમાં જલારામબાપાએ ગુરુ ભોજલરામબાપાના આશીર્વાદથી સદાવ્રત ચાલુ કર્યું હતું. જેમના ૨૦૧ વર્ષ પૂર્ણ થયાં છે. જ્યારે જલારામબાપાની જગ્યાના પૂજ્ય જયસુખરામબાપા દ્વારા મંદિરમાં કોઈ પણ પ્રકારનું રોકડ દાન કે ભેટ સોગાદ સ્વીકાર્યા વગર ચલાવતા સદાવ્રતને એકવીસ તેમજ પૂજ્ય જલારામબાપા દ્વારા સદાવ્રત શરૂ કર્યાને ૨૦૧ વર્ષ પૂર્ણ થયા છે. શનિવાર અને મહા સુદ બીજનો સુવર્ણ દિવસ વીરપુર જલારામબાપાની જગ્યાના જયસુખરામબાપા દ્વારા એક અભૂતપૂર્વ નિર્ણય લેવામાં આવ્યો હતો કે મંદિર દ્વારા એક પણ રૂપિયાનું દાન કે ભેટ સોગાદ સ્વીકારવામાં નહિ આવે. આ ૨૧ વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓએ પૂજ્ય બાપાની જગ્યામાં પ્રસાદીનો લાભ લીધો હશે. પૂજ્ય બાપાની જગ્યામાં દાન સ્વીકારવાનું બંધ કરવાથી બાપાના દુનિયાભરમાં ફેલાયેલા અસંખ્ય ભક્તોએ પોતપોતાના સ્થળોએ બાપાની યાદમાં અન્નક્ષેત્રોની સફળતાપૂર્વક સ્થાપના કરી અને બાપાના પ્રિય કાર્યને આગળ વધાર્યું છે. સાથે આજે પૂજ્ય જલારામ બાપાએ શરૂ કરેલા સદાવ્રતને પણ ૨૦૧ વર્ષ પૂર્ણ થયા છે. ગત વર્ષે સદાવ્રતની બસો વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. લૉકડાઉન જાહેર થયું ત્યારથી દર્શનાર્થીઓ માટે અન્નક્ષેત્ર બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ મંદિર આશ્રિત ભિક્ષુકો, દિવ્યાંગો તેમજ પરપ્રાંતીય મજૂરો માટે તો અન્નક્ષેત્ર ચાલુ જ રાખવામાં આવ્યું હતું. પરંતુ તે પાંચેક હજાર લોકોને મંદિર ખાતે નહીં પરંતુ તેઓ જ્યાં વસવાટ કરતા હોય ત્યાં જઈને ભોજન આપવામા આવ્યું હતું.