નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રિમિયર લીગના દિગ્ગજોમાંના એક સુરેશ રૈનાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. હવે સુરેશ રૈના આઇપીએલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં રમતા જોવા મળશે નહીં. આ સાથે જ તેઓ દેશ બહારની ફ્રેન્ચાઇઝી માટે રમવા તૈયાર છે. રૈના આઇપીએલના ઇતિહાસમાં વધુ રન કરનારા ખેલાડીઓમાંથી એક છે. તેઓ વર્ષ 2022માં યોજાયેલી આઇપીએલમાં 8થી 10 ટીમ હોવા છતાં અનસોલ્ડ રહ્યા હતા. સુરેશ રૈના આઇપીએલના મોટા નામોમાંથી એક છે તે વાતમાં કોઈ શંકાને સ્થાન નથી. હાલ તેઓ સૌથી વધુ રન કરનારા 5મા ખેલાડી છે. જો કે, રૈના પહેલેથી જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યાં છે. પરંતુ બીસીસીઆઈના નિયમાનુસાર, તેઓ વિદેશી ટી-20 લીગ રમવા માટે અયોગ્ય છે. દેશ બહારની પ્રાઇવેટ લીગ રમવા માટે તેમણે આઇપીએલમાંથી પણ સંન્યાસ લેવો પડશે. ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે, વિદેશી લીગમાં રમવા માટે રૈનાએ તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. એક રિપોર્ટ પ્રમાણે, સુરેશ રૈના દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને યૂએઈમાં ટી-20 લીગમાં રમવાને લઈને ખૂબ ઉત્સાહિત છે. સુરેશ રૈનાએ ટ્વીટ કર્યુ હતુ કે, ‘દેશ અને ઉત્તર પ્રદેશ રાજ્યનું પ્રતિનિધિત્વ કરવું એ પરમ સન્માનની વાત છે. હું ક્રિકેટના તમામ પ્રકારમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરું છું. હું બીસીસીઆઈ, યૂપીસીએ ક્રિકેટ, ચેન્નાઈ આઇપીએલ, રાજીવ શુક્લા સર અને મારા તમામ પ્રશંસકો સહિત તેમના સમર્થન અને મારી ક્ષમતા પર અતૂટ વિશ્વાસ રાખવા માટે આભાર માનું છું.’ ઉલ્લેખનીય છે કે, સુરેશ રૈના 10 સપ્ટેમ્બરથી શરૂ થનારી આગામી રોડ સેફ્ટી વર્લ્ડ સિરિઝમાં રમતા જોવા મળશે. ત્યાં તેઓ પૂર્વ ભારતીય બેટર સચિન તેંદુલકરના નેતૃત્વમાં ઇન્ડિયન લિજેન્ડ્સનું પ્રતિનિધિત્વ કરશે. તેઓ છેલ્લા એક વર્ષથી ગાઝિયાબાદ આરપીએલ ક્રિકેટ મેદાનમાં ટ્રેનિંગ કરી રહ્યા છે.