21 વર્ષથી ઈઝરાઈલ, બેલ્જિયમ અને દુબઈ જેવા દેશોમાં મલ્ટી નેશનલ કંપનીમાં ઉચ્ચ સ્થાન ઉપર રહેલા યુવાને સંસારનો ત્યાગ કરી શાશ્વત સુખને પામવા પોતાના પુત્ર સાથે જૈન દીક્ષા અંગીકાર કરી. પ્રાચીન શ્રુતોદ્વારક, વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ વિજય હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પ્રખર રાષ્ટ્રવાદી અને સંસ્કૃતિ પ્રેમી જૈન સંત પરમ પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી જિનપ્રેમવિજયજી મહારાજ સાહેબના ચરણે પિતા-પુત્રની જોડીએ જીવન સમર્પિત કર્યું.નિષેધભાઈનું નૂતન મુનિ શ્રી નિસ્તારપ્રેમવિજયજી મ.સા અને રત્નેશભાઈનું નામ નૂતન મુનિ શ્રી. તારકપ્રેમવિજયજી મ સા. નામની ઘોષણા કરવામાં આવી.તેમના પત્ની અને પુત્રીએ પણ સહર્ષ સંમતી આપી તેઓં ધર્મ આરાધના – સાધનામાં આગળ વધવાની ભાવના ધરાવે છે.તેઓનું વતન ઉતર ગુજરાતમાં આવેલ ખીમત ગામ છે. વર્ષોથી પરદેશમાં વસવાટ કરી રહ્યા છે. .ભૌતિક સુખ-સુવિધાઓની વચ્ચે જીવન વ્યતીત કરી રહેલા નિષેધભાઈને પરમ પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી જિનપ્રેમવિજયજી મહારાજ સાહેબના પ્રવચનો અને પુસ્તકોના વાંચન કરવાનો અવસર પ્રાપ્ત થયો. અનેક ઉપકારી ગુરુભગવંતોના આશીર્વાદથી મોક્ષપ્રાપ્તિ માટે આત્મ સાધનાના માર્ગે આગળ વધવાનો સંકલ્પ કર્યો. ભારતની પુણ્યભુમી પર આવી પૂજ્ય ગુરુદેવ પાસે ગુરુકુળવાસમાં રહી ને સંયમ જીવનની તાલીમ પ્રાપ્ત કરીને વિજાપુર મુકામે દીક્ષા ગ્રહણ કરી..નિષેધભાઈએ અને અને રત્નેશકુમારે જણાવ્યું કે, અનેક ભવોની આરાધનાના ફળરૂપે, પુણ્યાનુબંધી પુણ્યના પૂર્ણ ઉદયે જ, મનુષ્ય જન્મના સાર રૂપ, દેવોને પણ દુર્લભ એવા સંયમજીવનની પ્રાપ્તિ સંભવે છે. સંયમજીવનમાં સર્વ પાપ વ્યાપારોનો નિષેધ આપોઆપ થઈ જાય છે. અને સમગ્ર જીવન પર્યંત સ્વાધ્યાય, ધ્યાન, વિનય, વૈયાવચ્ચ, ભક્તિ, જીવદયા, સત્ય, શીલ વગેરે રત્નોનો જ વ્યાપાર પ્રાપ્ત થાય છે. જીવનની પ્રત્યેક પળ અને પ્રત્યેક ક્ષણ ગુણનો સંચય અને ગુણનો જ સંગ્રહ કરવાની તક આપનારું જીવન એ શ્રી જૈનશાસનનું મુનિજીવન છે. આવું શ્રેષ્ઠત્તમ જીવન પ્રાપ્ત કરવાનું સદભાગ્ય અમોને પ્રાપ્ત થયું છે.