વડોદરા : વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેરમાં છેલ્લા 36 કલાકમાં કોરોનાના 4 નવા કેસ આવ્યા હતા. વડોદરા શહેરના દિવાળીપુરા, છાણી અને જેતલપુર રોડ વિસ્તારમાં નવા કેસો નોંધાયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 72,221 પર પહોંચી હતી અને રિકવર થયેલા દર્દીઓની સંખ્યા વધીને 71,568 ઉપર પહોંચી ગઇ છે.વડોદરા શહેરમાં સોમવારે 4,893 ટેસ્ટિંગ થયા હતા. જ્યારે રવિવારે 4,590 જેટલા ટેસ્ટિંગ કરવામાં આવ્યાં હતાં. વડોદરામાં રવિવારની સરખામણીએ સોમવારે 300થી વધુ નમૂનાના ટેસ્ટિંગ વધારે કરવા છતાં શહેરમાં કોરોનાના 2 કેસો ઓછા આવ્યા હતા. હાલમાં 30 એક્ટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે, જેમાંથી એકને વેન્ટિલેટર અને બેને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 7 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. બીજી તરફ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, શાક માર્કેટ્સ, બગીચા તથા મંદિર-મસ્જિદ ખાતે રેપિડ એન્ટિજન ટેસ્ટ્સ પણ કરવામાં આવ્યા હતાવડોદરા શહેરમાં ચાલી રહેલા કોરોના અંગેના રસીકરણમાં 243 દિવસ બાદ પ્રથમ ડોઝ નું 100% લક્ષ્યાંક પૂર્ણ થયું છે. વડોદરા શહેરમાં મુખ્યમંત્રી આવવાના આગલા દિવસે કોર્પોરેશનના આરોગ્ય વિભાગે 1115 લોકોને રસી નો પ્રથમ ડોઝ મૂકી કુલ 15,09,971 લોકો નું રસીકરણ પૂર્ણ કર્યું હતું. જે ટાર્ગેટ કરતા વધુ 170 લોકોને મૂકવામાં આવી હતી. રસીના પહેલા ડોઝનું 100 ટકા લક્ષ્યાંક પૂર્ણ થતાં બીજા ડોઝનું લક્ષ્યાંક પૂર્ણ કરવા આરોગ્ય વિભાગે કામગીરી શરૂ કરી કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યા મુજબ ગત 16 જાન્યુઆરી રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું અંદાજિત 90 જેટલા સેન્ટરો પર તેમજ મેગા વેક્સિનેશન કેમ્પ અને ઘેર ઘેર રસીકરણ જેવા આયામો સાથે આ રસીકરણનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં સફળતા મળી છે. રસીકરણ માં 700 જેટલા કર્મચારીઓ દ્વારા અવિરત સેવા આપવામાં આવી હતી. રસીકરણના બીજા ડોઝમાં પણ વડોદરા શહેરમાં કુલ વસ્તીના 81.99 % લોકોને આવરી લેવામાં આવ્યા છે. જે આંકડો 12,37,900 થાય છે. સોમવારે થયેલા રસીકરણમાં 9578 લોકોએ રસી મુકાવી હતી જેમાં બીજો ડોઝ લેનારની સંખ્યા 8463 હતીપાલિકાના મુખ્ય આરોગ્ય અમલદાર ડો. દેવેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ‘હર ઘર દસ્તક’ અભિયાન દ્વારા ઘેર ઘેર વેક્સિનેશન માટે આદેશ કરાયો હતો, જેનો શહેરમાં પણ અસરકારક અમલ કરીને બીજા ડોઝની કામગીરી પણ ઝડપી પૂર્ણ કરાશે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા સોમવારે વિઝિટ કરી રસીકરણ માટે જરૂરી સૂચનો કર્યાં છે.