વડોદરા : વડોદરા જિલ્લા વાઘોડિયાના ભાજપના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભાજપમાંથી રાજીનામુ આપ્યું છે. હવે મધુ શ્રીવાસ્તવ અપક્ષ ચૂંટણી લડી શકે છે. મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, મારી ટિકિટ કપાતા મારા કાર્યકરો રોષે ભરાયા હતા. જેથી મે ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપું છું. બે દિવસમાં કાર્યકરો અને કમિટી નક્કી કરે તે પ્રમાણે હું નિર્ણય કરીશ. કાર્યકરો કહેશે તો હું અપક્ષ ચૂંટણી લડીશ. હું આજે ભાજપને રામ રામ કહું છું. વડોદરા જિલ્લાના વાઘોડિયા બેઠકના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકિટ ભાજપે કાપી હતી. જેને પગલે મધુ શ્રીવાસ્તવે અપક્ષ ચૂંટણી લડવાની તૈયારી કરી દીધી હતી. બે દિવસ પહેલા જ મધુ શ્રીવાસ્તવે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું ચૂંટણી લડીશ તો અપક્ષ તરીકે લડીશ, બીજી કોઈ પાર્ટીમાં નહીં જઉં. હું ભાજપનો છું અને ભાજપમાં જ રહેવાનો છું. ચૂંટણી લડ્યા પછી પણ ભાજપને જ સપોર્ટ કરવાનો છું. બે દિવસમાં કાર્યકર્તાઓને ભેગા કરીને કાર્યકર્તાઓ જે નિર્ણય લેશે, તેના આધારે હું ચાલવાનો છું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, પાર્લામેન્ટ્રી બોર્ડે જે નિર્ણય કર્યો તે શિરોમાન્ય છે. હવે કાર્યકર્તા વડે હું અપક્ષ કોર્પોરેટર બન્યો, ત્યારબાદ એક જ કાર્યકર્તાઓ વડે ધારાસભ્ય બન્યો. વડોદરા અને વાઘોડિયાના એ કાર્યકર્તાઓને બે દિવસમાં ભેગા કરીને કાર્યકર્તા જે નિર્ણય લેશે તેના આધારે હું ચાલવાનો છું. કાર્યકર્તાઓ કહેશે કે કોઈ કાર્યકર્તાને ચૂંટણી લડાવવાની છે, તો તેને લડાવીશું. કર્તાકર્તાઓ કહેશે મધુભાઈ તમે લડો તો જ હું ચૂંટણી લડીશ. તેમાં શંકાને કોઈ શંકાને સ્થાન નથી. તેમણે ઉમેર્યુ કે, પાર્લામેન્ટ્રીવાળા દિલ્હીમાં બેઠા છે. જાતિવાદી ટિકિટ આપવાની હોય, બે દરબારો અને બે પટેલોને આપો. હું એ જ્ઞાતિમાં નથી આવતો હું પરપ્રાંતિયમાં આવુ છું. પણ મારો વડોદરા શહેરમાં થયો, મારો ગુજરાતીઓ સાથે વર્ષોથી સંબંધ છે. મને રિપીટ કરવાના જ હતા. કોઇક લોકોએ ભરમાવતા અને જુઠ્ઠુ બોલવાના કારણે ત્યાં અહેવાલ પહોંચ્યો હતો. હું જીતીને ભાજપમાં જ છું. હું જાતે જ લડવાનો છું અને જીતીને ભાજપમાં જ જવાનો છું. વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભાની ગત સપ્તાહે યોજાયેલી સેન્સપ્રક્રિયા બાદ 27 ઉમેદવારની યાદી નક્કી કરાઈ હતી. જોકે તેમ છતાં રવિવારે સાંકરદા ખાતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ગુપ્ત મિટિંગ કરી હતી, જેમાં વાઘોડિયા વિધાનસભાના ઉમેદવારોની ફરીથી સેન્સ લેવામાં આવી હોવાની માહિતી મળી છે. મળતી માહિતી મુજબ, શનિવારે ગાંધીનગર ખાતે મળેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવારની પસંદગીમાં સર્વ સંમતિ સધાઈ નહોતી, જેને કારણે મંત્રી પુરુષોત્તમ રૂપાલા વડોદરા આવ્યા હતા. સાંકરદા ખાતે ફાર્મહાઉસમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાંસદ રંજનબેન ભટ્ટ, જિલ્લા પ્રમુખ અશ્વિન પટેલ તેમજ વડોદરા જિલ્લા અને તાલુકાના સંગઠન મંત્રીઓ હાજર રહ્યા હતા. જોકે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને દૂર રાખવામાં આવ્યા હતા. વાઘોડિયા બેઠક પર મધુ શ્રીવાસ્તવ વિજયી બનતા આવ્યા છે. 1995માં અપક્ષમાંથી ચૂંટાયા બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા અને સતત 6 ટર્મથી ચૂંટણી જીતતા આવ્યા છે અને મધુ શ્રીવાસ્તવને 7મી વખત ચૂંટણી લડવી હતી, પરંતુ ભાજપ આ વખતે તેમને રિપીટ કર્યાં નહોતા. વડોદરાના વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય વારંવાર વિવાદોમાં રહેતા આવ્યા હતા. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ મીડિયાને ધમકી આપવાની હોય કે તંત્રને ધમકાવવાનું હોય, પોતે જ સર્વોપરી છે તેમ માની અને પોતાની દબંગાઈનો પરચો બતાવતા આવ્યા હતા.