જિલ્લાના ભીલાડ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ત્રણ વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. તેમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ચારથી વધુ લોકોને ઈજા થઈ છે. મૃતકોમાં ઉમરગામ તાલુકા પંચાયતના ભાજપના સભ્ય મુકેશભાઈ ધોડી અને તેમના પત્નીનું પણ ઘટનાસ્થળ પર મોત નીપજ્યું છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ છવાયો છે.
બનાવની વિગત મુજબ, વલસાડ જિલ્લાના ભીલાડ નજીકથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ભીલાડ ફાટક નજીક એક કન્ટેનર પૂર ઝડપે હાઇવે પરથી પસાર થઈ રહ્યું હતું. કન્ટેનર ચાલકે ગફલતભરી રીતે હંકારી અને એક ટેમ્પોને ટક્કર મારી હતી. ટેમ્પોને ટક્કર વાગતાં જ ટેમ્પો હાઇવેની અન્ય સાઈડમાં ફંગોળાયો હતો. આથી ટેમ્પો હાઇવે પસાર થતી એક લક્ઝરી સાથે અથડાયો હતો. જેથી આ ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં ટેમ્પોમાં સવાર વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કનાડું ગામના મુકેશભાઈ ધોડી અને તેમના પત્ની સહિત ટેમ્પોમાં સવાર અન્ય વ્યક્તિનું મોત નીપજ્યું હતું.મૃતક મુકેશભાઈ ધોડી ઉમરગામ તાલુકા પંચાયતના ફણસા બેઠકના તાલુકા પંચાયતના સભ્ય હતા. આમ ભાજપના તાલુકા પંચાયતના સભ્ય અને તેમના પત્ની સાથે અન્ય એક વ્યક્તિનું આ ઘટનામાં કરૂણ મોત નીપજયું હતું. આથી સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો છે. મૃતક મુકેશભાઈ ધોડી તાલુકા પંચાયતના સભ્ય હોવાની સાથે મ્યુઝિકલ ઓરકેસ્ટ્રા પણ ચલાવતા હતા. આથી મોડી રાત્રે તેઓ પોતાના મ્યુઝિકલ ઓરકેસ્ટ્રાના સામાન અને માણસોને ટેમ્પોમાં લઈ અને પત્ની સાથે ઘરે પરત ફરી રહ્યા હતા.