આસામમાં ગુરુવારે સવારે એક ભયાનક અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. આસામમાં ટ્રક અને ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત કરીમગંજ જિલ્લાના પાથરખેડીમાં થયો હતો. અહીં એક પુરપાટ ઝડપે આવી રહેલ એક ટ્રકે ઓટો રિક્ષાને ટક્કર મારી હતી. અકસ્માતમાં નવ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે રિક્ષામાં સવાર લોકો છઠ પૂજાથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. ઘટના બાદ સ્થાનિક લોકોએ તેનો વિરોધ શરૂ કર્યો હતો. લોકોએ આસામ અને ત્રિપુરા રોડ બંધ કરાવી દીધો હતો. એક અંદાજ મુજબ મૃતકોમાં ચાના બગીચામાં કામ કરતા લોકોનો પણ સામેલ છે.
મૃતકોમાં બાળકો અને મહિલાઓ સામેલ
પોલીસ અધિકારીએ જણાવ્યું કે અકસ્માત બાદ નવ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, ‘અકસ્માતમાં મૃત્યુ પામેલા મોટાભાગના લોકો બાળકો અને મહિલાઓ છે. તે છઠ પૂજા કરીને ઓટો રિક્ષામાં પોતાના ઘરે પરત જઈ રહ્યા હતા, આ દરમિયાન સામેથી આવતી ટ્રકે ઓટો રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી જેમાં નવ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને એક વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. મૃતકોમાં 3 પુરુષ, પાંચ મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે.
અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોએ આસામ અને ત્રિપુરા રોડ બંધ કરાવી દીધો હતો
આસામના મુખ્યમંત્રીએ દુખ વ્યક્ત કર્યું
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આ અકસ્માત બાબતે દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વીટ કરીને જણાવાયું હતું કે આજે સવારે બેઠાખાલ પાથરખેડીમાં એક મોટો અકસ્માત થતાં 9 લોકોના મોત થતાં ભારે શોક વ્યક્ત કરું છું. એક ઘાયલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે અકસ્માત બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આસામ પોલીસ તેને શોધવાનો પ્રયાસ કરી રહી છે.