જયપુર : રાજસ્થાન ના શ્રેષ્ઠ શહેરોની વાત કરવામાં આવે તો તેમાં ઉદયપુરનું નામ ચોક્કસથી સામેલ થાય. ઉદયપુરને ભારતનું વેનિસ પણ કહેવામાં આવે છે. ઉદયપુર પોતાના ઈતિહાસ, સંસ્કૃતિ અને જોવા લાયક સ્થળોને લઈને આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. જો તમે પણ ઉદયપુર જાવ તો આ જગ્યાઓની ચોક્કસ મુલાકાત લેજો. આવો જોઈએ ઉદયપુરમાં જોવા લાયક સ્થળો ની યાદી.
ફતેહ સાગર લેક
ફતેહ સાગર તળાવ ઉદયપુર શહેરના આકર્ષણોમાં મુખ્ય છે. આ એક માનવ નિર્મિત તળાવ છે જેનું નામ મેવાડના મહારાજ મહારાણા ફતેહ સિંહના નામ પરથી રાખવામાં આવ્યું છે. અહીં અરવલ્લીની ગિરીમાળાઓની વચ્ચે બોટિંગ કરવો એક સુખદ અનુભવ છે. ફતેહ સાગર તળાવ એક વર્ગ કિલોમીટરમાં ફેલાયેલુ છે. અહીંથી સનસેટનો નજારો ખૂબ જ અહલાદક છે.
જગદીશ મંદિર
જગદીશ મંદિર ઉદયપુરના સિટી પેલેસ પરિસરમાં આવેલું એક ખૂબ જ આકર્ષક અને સુંદર મંદિર છે, જેમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ મંદિર લક્ષ્મીનારાયણ મંદિરના નામથી પણ જાણીતું છે. આ મંદિરની સુંદર નકકાશી, આકર્ષક મૂર્તિઓ અને અહીંનું શાંતિપૂર્વક વાતાવરણ પ્રવાસીઓ અને યાત્રીઓ દ્વારા સૌથી વધારે પસંદ કરવામાં આવે છે. આ મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર પેલેસના બારા પોલમાંથી પણ જોઈ શકાય છે.
ઉદયપુર સિટી પેલેસ
ઉદયપુરનું સિટી પેલેસ એ રાજસ્થાની શાહી સંસ્કૃતિનું એક ભવ્ય પ્રતિક છે. આ પેલેસ લેક પિચોલાના કિનારે આવેલું છે. સિટી પેલેસનું નિર્માણ 1559માં મહારાણા ઉદયસિંહે કરાવ્યું હતું. આ પેલેસમાં હવે ઓરડાઓ, આંગણું, મંડપ, ગલિયારે, હેંગિંગ ગાર્ડન અને છત સામેલ છે. આ સ્થળે એક મ્યૂઝિયમ પણ આવેલું છે, જે રાજપૂતકળા અને સંસ્કૃતિને પ્રદર્શિત કરે છે.
લેક પિચોલા
લેક પિચોલા ઉદયપુરનું સૌથી જુનું અને મોટું તળાવ છે. આ તળાવ તેની સુંદરતા અને તેની આસપાસના દ્રષ્યોને લઈને ખૂબ જાણીતું છે. આ તળાવ અહીં આવનારા યાત્રીઓને તેની સુંદરતા અને વાતાવરણથી આકર્ષિત કરે છે. સાંજના સમયે આ જગ્યા સોનેરી રંગમાં ડૂબેલી જોવા મળે છે. અહીંનું સુંદર દ્રશ્ય પ્રવાસીઓને એક જુદી જ દુનિયામાં લઈ જાય છે. આ તળાવમાં સૌથી લોકપ્રય એવા જગ મંદિરની પણ મુલાકાત કરી શકાય છે.
જગ મંદિર
જગ મંદિર લેક પિચોલાના એક દ્વિપ પર આવેલું છે. તેને પ્રવાસીઓ લેક ગાર્ડન પેલેસ તરીકે પણ ઓળખે છે. લેક પિચોલાની મધ્યમાં આવેલું આ મંદિર સુંદરતાનો એક અદ્ભુત નમૂનો છે. મહારાજા જગતસિંહની યાદમાં આ મંદિરને જગત મંદિર તરીકે ઓળખવામાં આવતું હતું.
સજ્જનગઢ પેલેસ અથવા મોનસૂન પેલેસ
સજ્જનગઢ પેલેસનું નામ મહારાજ સજ્જન સિંહના નામ પરથી રાખવામાં આવ્યું છે. વર્ષ 1884માં તેમના દ્વારા જ પેલેસનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. ચોમાસાની ઋતુમાં વાદળોનો અદ્ભૂત નજારો માણવા માટે ખાસ આ પેલેસનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. અહીંથી લેક પિચોલા અને આસપાસના ગામડાઓના દ્રશ્યો પણ જોઈ શકાય છે. આ પેલેસમાં રાજપૂતી સંસકૃતિના અનોખી ઝલક જોવા મળે છે.
દૂધ તલાઈ મ્યૂઝિકલ ગાર્ડન
દૂધ તળાઈ પોતાના સનસેટ વ્યૂને લઈને ખૂબ જ જાણીતું છે. રોપ વેના માધ્યમથી જ્યારે દૂધ તલાઈ સુધી પહોંચે તો વચ્ચે સુંદર પહાડી દ્રશ્યો પણ જોવા મળે છે. આ એક રોક અને ફાઉન્ટેઈન ગાર્ડન છે. અહીંથી કરણી માતા મંદિરે પણ જઈ શકાય છે.