બિપિન રાવતે ફોનથી સંદેશો અપાવ્યો હતો કે હું અમદાવાદ આવીશ ત્યારે તમને મળીશ
અમદાવાદ : શિયાચીન ગ્લેશિયરમાં ઓપરેશન મેઘદૂત સમયે દુશ્મન સામે લડતાં લડતાં અમદાવાદના યુવાન કેપ્ટન નિલેશ સોનીએ માત્ર 25 વર્ષની ઉંમરમાં શહાદત વહોરી હતી. અમદાવાદમાં અંજલિ ચાર રસ્તા પાસે રહેતા શહીદ કેપ્ટનના મોટા ભાઈ જગદીશ સોનીએ 21 જૂન 2021માં CDS બિપિન રાવતને પત્ર લખ્યો હતો અને તેમના નાના ભાઈ જ્યાં શહીદ થયા હતા એ ભૂમિની માટી અને તોપખાનાની ખાલી કાર્ટ્રિજ સ્મૃતિરૂપે માગ્યાં હતાં. 20 જ દિવસમાં બિપિન રાવતે કાર્યવાહી કરાવીને માટી તથા કાર્ટ્રિજ આર્મીના અધિકારીઓને અમદાવાદ મોકલાવ્યાં હતાં. આ કિસ્સો જગદીશભાઈ સોનીએ દિવ્યભાસ્કર ડિજિટલ સાથેની વાતચીતમાં વર્ણવ્યો હતો અમદાવાદના શહીદ કેપ્ટન નિલેશ સોનીના મોટા ભાઈ જગદીશ સોનીએ 21 જૂન 2021ના દિવસે CDS બિપિન રાવતને પત્ર લખ્યો હતો. તેમણે પત્રમાં લખ્યું હતું કે તેમના નાના ભાઈ શહીદ કેપ્ટન નિલેશ સોની 12 ફેબ્રુઆરી 1987ના દિવસે સિયાચીનમાં ચંદન પોસ્ટ ખાતે દુશ્મન સામે લડતાં લડતાં શહીદ થયા હતા. તેઓ જ્યાં શહીદ થયા હતા એ સ્થળની માટી અને એ વખતે લડાઈમાં ઉપયોગ થયો હતો એ કાર્ટ્રિજ જે રેજિમેન્ટમાં રખાઈ હતી એ સ્મૃતિરૂપે માગી હતી CDS બિપિન રાવતને જ્યારે અમદાવાદથી જગદીશભાઈ સોનીનો પત્ર મળ્યો ત્યારે તેમણે તરત જ કાર્યવાહીના આદેશ આપ્યા હતા. તેમને શહીદ પરિવારો પ્રત્યે અત્યંત માન હતું. તેમણે ખાસ આદેશ આપીને હેલિકોપ્ટર સિયાચીન મોકલ્યું હતું અને જ્યાં કેપ્ટન નિલેશ સોની શહીદ થયા હતા એ ચંદન પોસ્ટ ભૂમિની માટી લેવડાવી હતી. આર્મીના નિયમ મુજબ, રેજિમેન્ટમાં તોપખાનાની કાર્ટ્રિજ રાખવામાં આવે છે, એ ક્યારેય રેજિમેન્ટની બહાર જતી નથી, પણ બિપિન રાવતે વિશેષ ઓર્ડરથી આ કાર્ટ્રિજ કઢાવી આપી હતી. કેપ્ટન નિલેશ સોનીના 59મા જન્મદિવસે 13 જુલાઈ 2021ના દિવસે અમદાવાદમાં 62 ફિલ્ડ રેજિમેન્ટના અધિકારીઓ દિલ્હીથી અમદાવાદ આવ્યા હતા અને સિયાચીનની માટી અને કાર્ટ્રિજ જગદીશભાઈ સોનીને આપી હતી. આ રીતે પત્ર લખ્યાના 20 જ દિવસમાં બિપિન રાવતે કાર્યવાહી કરાવી હતી. જગદીશભાઈને સિયાચીનની માટી અને કાર્ટ્રિજ અર્પણ કરવામાં આવ્યા પછીના થોડા જ દિવસોમાં બિપિન રાવત વતી ડેપ્યુટી ડિફેન્સ આસિસ્ટન્ટ કેપ્ટન પુનિત વીજે પત્ર લખ્યો અને બિપિન રાવતે ખુશી વ્યક્ત કરી છે, તેવો ઉલ્લેખ કર્યો. પછી જગદીશભાઈ પર CDS ઓફિસમાંથી ફોન આવ્યો અને બિપિન રાવત વતી સંદેશો પહોંચાડ્યો કે તમને માટી પહોંચાડીને તેઓ ખુશ છે અને જ્યારે અમદાવાદ આવવાનું થશે ત્યારે તમને મળશે.