નવી દિલ્હી: તમિલનાડુના નીલગિરિ જિલ્લાના કુન્નૂરમાં આજે મોટી દુર્ઘટના ઘટી છે. ભારતીય વાયુસેનાનું એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું. હેલિકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત સહિત એનાના અનેક વરિષ્ઠ અધિકારીઓ હતા અને એક કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. ભારતીય વાયુસેનાએ ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી. મળતી માહિતી મુજબ હેલિકોપ્ટરમાં બિપિન રાવતના પરિવારના સભ્યો પણ હતા. અકસ્માત બાદ ત્રણ લોકોને રેસ્ક્યૂ કરાયા છે. ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટના ઘટી હોવાનું કહેવાય છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 11 મૃતદેહ મળી આવ્યા છે. સૂત્ર પાસેથી મળેલી માહિતી મુજબ બિપિન રાવતને હોસ્પિટલ લઈ જવાયા છે. હેલિકોપ્ટર સુલુરથી વેલિંગ્ટન જઈ રહ્યું હતું.
એરફોર્સે કરી પુષ્ટિ
ભારતીય વાયુસેનાએ ટ્વીટ દ્વારા જણાવ્યું કે IAF Mi-17V5 હેલિકોપ્ટર કે જેમા CDS જનરલ બિપિન રાવત પણ સવાર હતા તેનો તામિલનાડુના કુન્નૂર નજીક અકસ્માત થયો. અકસ્માતનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા
મળેલી વિગતો મુજબ હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા અને એક સિનિયર અધિકારી હતા. અકસ્માત બાદ ત્રણ લોકોનું રેસ્ક્યૂ કરાયું છે. જો કે કોને કોને બચાવવામાં આવ્યા છે તે અંગે હજુ વિગતો મળી નથી. ક્રેશ થયા બાદ હેલિકોપ્ટરમાં આગ લાગી ગઈ અને સમગ્ર વિસ્તારમાં ધૂમાડાના ગોટેગોટા છવાઈ ગયા. હેલિકોપ્ટર જે વિસ્તારમાં તૂટી પડ્યું તે જંગલ વિસ્તાર છે.
બિપિન રાવતને હોસ્પિટલ લઈ જવાયા
સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ અકસ્માત બાદ સીડીએસ જનરલ બિપિન રાવતને હોસ્પિટલ લઈ જવાયા છે.
રક્ષામંત્રી સંસદમાં આપશે જાણકારી
રક્ષામંત્રી રાજનાથ સિંહ તમિલનાડુના નીલગિરિમાં સેનાના હેલિકોપ્ટરના દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાની જાણકારી સંસદમાં આપશે.
હેલિકોપ્ટરમાં સવાર લોકોના નામ સામે આવ્યા
1. જનરલ બિપિન રાવત
2. શ્રીમતી મધુલિકા રાવત
3. એલ.એસ. લિડ્ડર
4. લે.કર્નલ હરજિંદર સિંહ
5. નાયક ગુરુસેવક સિંહ
6. જીતેન્દ્રકુમાર
7. વિવેકકુમાર
8. બી. સાઈ તેજા
9. SAV સતપાલ