શ્રીનગર : છેલ્લા ચાર પાંચ દિવસથી સતત હિમવર્ષા થતાં જમ્મુ કશ્મીરના શ્રીનગર એરપોર્ટને બંધ કરી દેવાની ફરજ પડી હતી. ચાર દિવસ બંધ રહ્યા બાદ આજે સવારે એરપોર્ટ ખુલ્યું હતું. બરફ હટાવાયા બાદ પહેલી ફ્લાઇટ રવાના થાય એવી શક્યતા હોવાની જાણકારી મળી હતી. કશ્મીર ખીણ વિસ્તારમાં છેલ્લા થોડા દિવસથી સતત ભારે હિમવર્ષા થઇ રહી હતી. એને કારણે એરપોર્ટ બંધ કરીને તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.બુધવારે રાત્રે રનવે પરના બરફને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મોટા ભાગનો બરફ હટાવાઇ લેતાં આજે સવારે પહેલી ફ્લાઇટ રવાના થાય એવી શક્યતા ઊજળી બની હતી.બુધવારે બપોરે પહેલીવાર હિમવર્ષા અટકી હતી એટલે ઠેર ઠેર જામી ગયેલા બરફને હટાવવાના કામની શરૂઆત કરી શકાઇ હતી. આ વરસે પહેલીવાર આટલો બધો બરફ પડ્યો હતો એવું ત્યાંના સ્થાનિક રહેવાસીઓ કહેતા હતા. જો કે જમ્મુ શ્રીનગર નેશનલ હાઇવે હજુ પણ ટ્રાફિક માટે ખુલ્યો નથી. હાઇવે પર સરેરાશ બે ફૂટથી માંડીને કેટલેક સ્થળે ચચ્ચાર ફૂટ જેટલો બરફ જામેલો હતો. જવાહર ટનલ પાસે બરફ જામેલો પડ્યો હોવાથી ટ્રાફિક શરૂ કરી શકાય એવી પરિસ્થિતિ રહી નહોતી. વળી હાઇવે પર ઠેર ઠેર ભેખડો ધસી પડી હતી. અનંતનાગ જિલ્લામાં પણ ભારે હિમવર્ષા થઇ ઙતી. વિવિધ જિલ્લાને જોડતા માર્ગો અને જિલ્લા મુખ્યાલયો તરફના માર્ગો પણ હિમવર્ષાને કારણે બંધ હતા. આ માર્ગો પર જામેલો બરફ હટાવવાની કામગીરી ચાલુ હતી.