(જી.એન.એસ.)અમદાવાદ,
અમદાવાદ શહેરના ડ્રાઇવીઇન રોડ પર આવેલા ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં વહેલી સવારે એક યુવકની લોહીથી લથપથ હાલતમાં લાશ ટાવરના રહીશોએ જાતાં તાત્કાલીક પોલીસને ફોન કરીને જાણ કરી હતી. વસ્ત્રાપુર પોલીસને ઘટનાની જાણ થતાં તે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી, તો બીજી તરફ ઉચ્ચ અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતા.
પોલીસે ઇન્દ્રપ્રસ્થ ટાવરના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં સવારે આઠ વાગ્યાની આસપાસ યુવક ટાવરમાં આવે છે અને સાડા આઠ વાગ્યાની આસપાસ ટાવરના એ બ્લોકના દસમા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરે છે.
સ્થાનિકોએ પોલીસને જણાવ્યુ છે કે સવારે કાંઇ પડવાનો અવાજ આવ્યો હતો પરંતુ એ બ્લોકમાં કામ ચાલતું હોવાથી કોઇ ચીજ વસ્તુ પડી હોય તેવું લાગ્યું હતું. રહીશો ત્યાંથી પસાર થયા ત્યારે લોહીથી લથપથ હાલતમાં એક યુવકની લાશ જોઇ હતી અને તેમણે તરત જ પોલીસને જાણ કરી હતી.
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ.જાડેજા અને તેમની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચીને તાપસ શરૂ કરી છે. આ યુવક કોણ છે, તે ક્યાંનો રહેવાસી છે અને ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં આત્મહત્યા કરવા માટે કેમ આવ્યો હતો તે જાણવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.