વકીલો દોષિતોની મેડિકલ, શૈક્ષણિક લાયકાત અને ઘરની પરિસ્થિની વિગતો રજૂ કરશે,
અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ચુકાદો જાહેર થઈ ગયો છે. અદાલતે કુલ 78માંથી 49 આરોપીને UAPA ( અનલોફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન)) હેઠળ દોષિત જાહેર કર્યા છે. આ કેસમાં કોર્ટે શંકાના આધારે કુલ 29 આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે.આ કેસના 49 દોષિતની સજાની આજે 10.45 વાગ્યે સીટી સિવિલ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.આરોપીઓને વીડિયો કોન્ફરન્સથી રજૂ કરવામાં આવશે. આરોપી પક્ષ દ્વારા દોષીતોની મેડિકલ, શૈક્ષણિક લાયકાત અને ઘરની પરિસ્થિતિ અંગેની વિગતો કોર્ટમાં રજૂ કરશે. સુનાવણીના પગલે આજે ભદ્ર કોર્ટ પરિસર બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આરોપીઓના વકીલ તરફથી કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી કે દોષીતોને સુધારાનો અવકાશ છે. જે માટે ઋષી વાલ્મિકીનો પણ ઉદાહરણ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો, એટલે કે આરોપીઓને સુધારવાની એક તક આપવી જોઇએ તેમ રજૂઆત કરવામાં આવી. કેમ કે આરોપીઓ શૈક્ષણિક લાયકાત ધરાવે છે, જેથી તે અંગેની વિગતો, તેમના પારિવારિક સ્થિતિ, મેડિકલ પુરાવા રજૂ કરવા સમય આપવા 3 સપ્તાહની માંગ કરી હતીસુનાવણી દરમિયાન સરકારી વકીલ તરફથી રજૂઆત કરવામાં આવી કે દોષિતોએ જઘન્ય અપરાધ કર્યો છે જેથી મહત્તમ સજા થવી જોઈએ. આ માટે રાજીવ ગાંધી હત્યા કેસના ચુકાદાનો કોર્ટમાં રેફરન્સ આપવામાં આવ્યો હતો. એક ચુકાદાનો હવાલો આપી સરકારી વકીલોએ રજુઆત કરતા કહ્યું કે,વાલ્મિકીઓ રોજ નથી થતા કે જેમનામાં સુધારાનો અવકાશ હોય. સાથે જ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ, સુરંગ કાંડ જેવી બાબતો પણ કોર્ટે ધ્યાને લેવી જોઈએ.દોષમુક્ત ઠરેલા 28 પૈકીના 22 આરોપી વિરુદ્ધ અન્ય રાજ્યોમાં કેસ ચાલતા હોવાથી તેઓ જેલની બહાર નીકળી નહીં શકે. ઉલ્લેખનીય છે કે ત્રાસવાદી કૃત્ય બદલ દેશભરમાં પહેલીવાર એકસાથે 49 આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યા છે. કોર્ટે આરોપીઓ વિરુદ્ધ જેહાદી ષડયંત્ર અને ત્રાસવાદી કૃત્ય માન્યું છે. 13 વર્ષની લાંબી કાનૂની કાર્યવાહી પૂરી થતાં મંગળવારે ખાસ કોર્ટે ચુકાદો જાહેર કરવાનો નિર્દેશ કર્યો હતો. સૌપ્રથમવાર આટલા મોટા કેસની કાર્યવાહી વીડિયો-કોન્ફરન્સથી હાથ ધરવામાં આવી હતી.26 જુલાઇ 2008 શનિવારે સાંજે 6.15થી 7.45 સુધીના 90 મિનિટના સમયગાળામાં 20 જગ્યાએ સાઇકલ, કાર અને બસમાં પ્લાન્ટ કરાયેલા બોંબબ્લાસ્ટ થતાં શહેર ધ્રૂજી ઊઠ્યું હતું. આ બ્લાસ્ટમાં 56 લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 246 લોકો ગંભીર રીતે ઘવાયા હતા. એમાં સિવિલ અને એલ.જી.હોસ્પિટલમાં ત્રાસવાદીઓએ પાર્ક કરેલી વેગન આર અને મારુતિ કારમાં બોંબબ્લાસ્ટ થયા હતા. આ કેસમાં પોલીસે 19 દિવસમાં કેસને ઉકેલી તબક્કાવાર આરોપીઓને પકડી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.