આણંદ: ચરોતરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આપણે ગાયને માતાનું સ્વરુપ માનીએ છીએ, તેમાં ભગવાનનો વાસ માનીને તેની પૂજા પણ કરીએ છીએ. પરંતુ કચરો પ્લાસ્ટિકનો કચરો ગમે ત્યાં નાંખીએ છીએ જેનાથી ગાય માતા તેને આરોગીને કચરો પેટમાં પધરાવે છે. જેના કારણે તે માંદી પણ પડે છે. આણંદ વેટરનરી વિભાગ દ્નારા કરાયેલા ઓપરેશનમાં એક ગાયના પેટમાંથી 77 કિલો પ્લાસ્ટિકનો કચરો કાઢવામાં આવ્યો છે. પશુસમૃદ્ધિ માટે જાણીતા ચરોતરમાં આણંદ વેટરનરી વિભાગને પ્રતિ અઠવાડિયામાં બેથી ત્રણ ગાય એવી મળે છે કે, જેના પેટમાં પ્લાસ્ટીક હોય છે. વિભાગ દ્વારા તેમનું ઓપરેશન કરવામાં આવે છે અને 15થી 20 કિલો પ્લાસ્ટીક બહાર કાઢવામાં આવે છે.તાજેતરમાં આ વિભાગ દ્વારા કરાયેલું ઓપરેશન સૌથી જટીલ હતું અને સૌથી લાંબા સમય સુધી ચાલ્યું હતું. કારણ કે, ગાયના પેટમાંથી 77 કિલો પ્લાસ્ટીક બહાર કાઢ્યું હતું. આ અંગે વિભાગના હેડ ડો. પિનેશભાઈ પરીખે આ અંગે જણાવ્યુ હતું કે, ગાયનું સરેરાશ વજન 400 કિલો હોય છે અને ગાયમાંથી 77 કિલો પ્લાસ્ટીકનો જથ્થો, જેમાં કોથળીઓ જ નહીં, પણ આઈસ્ક્રીમની વાટકીઓ અને ચમચીઓ પણ મળી આવી હતી. જ્યારે પણ પ્લાસ્ટીકનો જથ્થો પેટમાં જતો હોય એ પછી પશુનો આહાર તદન ઓછો થઇ જાય છે.